ગુજરાત માહિતી ખાતાની એક પ્રેસ રીલિઝમાં જણાવાયું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની સાડા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા-સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડી દરેક જીવને અભયદાનનો મંત્ર સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સર્વાંગી વિકાસ માટે ઊદ્યોગો સાથે પશુપાલન-ખેતીને પણ એટલી જ અહેમિયત આપીને આપણે શ્વેતક્રાંતિ - હરિતક્રાંતિમાં પણ સ્વસ્થ-સમૃદ્ધ પશુધનથી અગ્રેસર થવું છે.
મુખ્યમંત્રી રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવારના અભિનવ પ્રયોગ એવા 108 મોબાઇલ પશુ દવાખાનાનો લોકાર્પણ ગાંધીનગરમાં કરતાં સંબોધી રહ્યા હતા. વિજય રૂપાણીએ 10 ગામ દિઠ એક મોબાઇલ પ્રમાણે પ્રારંભિક તબક્કે 108 મોબાઇલ પશુ દવાખાનાને પ્રસ્થાન કરાવતાં કહ્યું કે, 108ના આંકને શુભ માનવામાં આવે છે કેમ કે આપણી માળામાં પણ 108 મણકાંઓ હોય છે અને 108 જાપ કરવાથી સારું પરિણામ પણ પ્રાપ્ત થતું હોય છે એવી જ રીતે આજે 108 હરતા-ફરતા દવાખાનાઓ પશુઓ માટે ખૂલ્લા મૂકવામાં આવ્યા છે.
No Internet connection |