
ઘણા સમયથી 8મા પગાર પંચ આવવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેમના વિશે દરરોજ મીડિયા રિપોર્ટ્સ આવતા રહે છે, પરંતુ તે લાગુ થશે કે નહીં તે અંગે શંકા હતી. પરંતુ હવે આ મામલે કેન્દ્ર સરકાર તરફથી એક નવું અપડેટ આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે, આઠમું પગાર પંચ આવવાનું નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારના કોઈપણ દાવાને પાયાવિહોણા હોવાનું કહેવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવા માટે 8મું કેન્દ્રીય પગાર પંચ લાવવાની વાત કરવામાં આવી છે.
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 'આવી કોઈ દરખાસ્ત કેન્દ્ર સરકાર પાસે વિચારણા હેઠળ નથી.'

મીડિયા અહેવાલો અનુસાર, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, શું તે સાચું છે કે સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં સુધારો કરવા માટે 8માં પગાર પંચને લાગુ કરવા પર વિચાર કરી રહી છે. તેના પર સરકાર તરફથી કહેવામાં આવ્યું કે તે આવવાનું નથી.
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે, 'એવું સૂચન જરૂર કરવામાં આવ્યું છે કે સમયાંતરે પે મેટ્રિક્સમાં ફેરફાર થવો જોઈએ અને આ માટે આગામી પગાર પંચની જરૂર ન પડે. આવી સ્થિતિમાં, એક્રોયડ ફોર્મ્યુલાના આધારે તેની સમીક્ષા કરી શકાય છે અને તેમાં સુધારો કરી શકાય છે, જે સામાન્ય માણસ માટે જરૂરી વસ્તુઓની કિંમતોને ધ્યાનમાં રાખીને ફેરફાર કરી શકે છે.
વધતી જતી મોંઘવારીને કારણે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, ઓગસ્ટની શરૂઆતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના DA (મોંઘવારી ભથ્થું) અને DR (મોંઘવારી રાહત)માં 4 ટકા સુધીનો વધારો કરી શકે છે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો સરકાર મોંઘવારી ભથ્થું (DA) વધારશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળશે.
અહીં તમને બતાવી દઈએ કે, કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી તેમના 18 મહિનાના DAના બાકી ચૂકવણીની માંગ કરી રહ્યા છે. કોવિડને કારણે સરકારે જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધી કર્મચારીઓનો DA રોકી રાખ્યો હતો. કર્મચારીઓ તેમના બાકી DAની ચૂકવણીની સતત માંગ કરી રહ્યા છે.