સીરિયલ સાથ નિભાના સાથિયામાં રાશિનો રોલ પ્લે કરનાર રુચા હસબનીસ યાદ છે? રસોડે મેં કોન થા? વાળો વીડિયો વાયરલ થયા બાદ તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. રુચાએ ૨૦૧૪માં શો છોડી દીધો હતો, જેના ૪ વર્ષ બાદ તે ઓફ-એર થયો હતો. શો છોડ્યાના એક વર્ષ બાદ તેણે બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા. ડિસેમ્બર, ૨૦૧૯માં તેણે દીકરીને જન્મ આપ્યો હતો.
રુચાને શો છોડવા પાછળનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે, લગ્ન કરવાનો સમય થઈ ગયો હોવાથી મેં શો છોડી દીધો હતો અને હું મારા માતા-પિતા સાથે પણ સમય પસાર કરવા માગતી હતી. તે મારા માટે યોગ્ય ર્નિણય હતો. મેં શો છોડવાનો ર્નિણય લેતા મેકર્સે રિપ્લેસમેન્ટ શોધવાના બદલે મારા કેરેક્ટરને મારી નાખ્યું હતું.
હાલ, સીરિયલ થકી ટીવીમાં પાછા ફરવાનો એક્ટ્રેસનો કોઈ પ્લાન નથી. જો કે, ભવિષ્યમાં તે જરૂરથી કમબેક કરવાનું પસંદ કરશે. રુચાએ કહ્યું કે, 'હું ટિપિકલ ફેમિલી ડ્રામા કરવા માગતી નથી, તેનાથી વિશેષ કંઈક વિચારી રહી છું. ઘસાયેલું કામ મારે નથી કરવું. મને રોલ હમણા જ મળે તેમ હું કહી રહી નથી. જો મને કંઈક રસપ્રદ મળશે, તો તે રોલ કરવામાં મને વાંધો નથી. હાલ તો મારી દુનિયા મારી દીકરીની આસપાસ જ હશે. તેની પાછળ જ મારો બધો સમય જતો રહે છે. તેથી એક્ટિંગમાં પાછો ફરવાનો મારો ર્નિણય આ પરિબળો પર આધારિત રહેશે. મેં સાથ નિભાના સાથિયામાં કામ કરવાના સમયને ખૂબ એન્જોય કર્યો હતો. શો અને કેરેક્ટર હંમેશા મારા દિલની નજીક રહેશે. શોની નવી સીઝન આવી રહી છે તે અંગે વાત કરતાં રુચાએ કહ્યું કે, 'થોડા દિવસ પહેલા સુધી તો સાથ નિભાના સાથિયાની બીજી સીઝન આવી રહી હોવા અંગે મને જાણ નહોતી. જો કે, આ આમ તો સરપ્રાઈઝ નથી. કારણ કે તે આઈકોનિક શો છે.

