રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં આવતી કાલે છત્તીસગઢ પરનું હળવુ દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વેધર વોચ ગૃપના વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મિડીયાને વિગતો આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી ૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૮ મીમી સુધી વરસાદ નોધાયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સૌથી વઘુ ૦૮ મીમી વરસાદ નોધાયો છે.
રાજયમાં અત્યાર સુધી તા.૨૨/૦૯/૨૦૨૦ અંતિત ૧૦૯૫.૫૫ મીમી વરસાદ થતો છે.
બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તા.૨૧/૦૯/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૮૬.૨૨ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૫.૮૭ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૦૧.૫૬ ટકા વાવેતર થયું છે.સિંચાઇ વિભાગ દ્વારા આ બેઠકમાં જણાવાયું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં ૩,૧૯,૮૮૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૫.૭૫% છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં ૫,૨૩,૪૩૧ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૯૩.૯૭% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ -૧૭૪ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૭ જળાશય તેમજ વોર્નીગ ૫ર ૦૬ જળાશય છે.

