Ahmedabad News: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મોડી રાત્રે સામાન્ય બોલાચાલી જીવલેણ સાબિત થઈ હતી. રબારી કોલોની નજીક આવેલા વાઘજીભાઈ એસ્ટેટ વિસ્તારમાં એક યુવકની છરીના હુમલામાં હત્યા (Ahmedabad Murder) કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં અમરાઈવાડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
Ahmedabad Murder : પાણીના પીપના ઢાંકણાને લઈને શરૂ થયો વિવાદ
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક કિશનભાઈ તેમના પરિવાર સાથે વાઘજીભાઈ એસ્ટેટમાં રહેતા હતા. મોડી રાત્રે ઘરની બહાર અવાજ આવતાં તેઓ અને તેમના પત્ની બહાર આવ્યા હતા. તે સમયે કેટલાક યુવકો ઘરની બહાર ઊભા હતા. આરોપી તરીકે ઓળખાતા એક યુવકે ઘરની બહાર રાખેલા પાણીના પીપમાંથી મોઢું ધોયું હતું અને પીપનું ઢાંકણું જમીન પર પડી ગયું હતું. આ બાબતે કિશનભાઈએ તેને ટોકતાં બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.
ઝઘડા બાદ ફરી આવ્યો અને હુમલો કર્યો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, શરૂઆતમાં અન્ય લોકો વચ્ચે પડતાં મામલો શાંત થયો હતો અને યુવકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. જોકે થોડા સમય બાદ આરોપી ફરી ઘટનાસ્થળે આવ્યો અને કિશનભાઈ પર ધારદાર હથિયારથી હુમલો (Ahmedabad Murder) કર્યો હોવાનો આરોપ છે.હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કિશનભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં અમરાઈવાડી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કામે લગાડી છે. આસપાસના CCTV ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધી રહી છે.રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. નાની બાબતે થયેલી હિંસક ઘટનાએ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા જગાવી છે.
@સુમન ઠાકોર

