Dharm & Bhakti: આચાર્ય ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલી નીતિઓ અને ચાણક્ય નીતિ સૂત્રો (Chanakya Niti Sutra) કઠોર અવશ્ય છે, પરંતુ જો કોઇ વ્યક્તિ એને પોતાના જીવનમાં વણી લે તો, તેના જીવનમાં કોઇ પણ પ્રકારની કમી રહેતી નથી!
ચાણક્ય નીતિમાં અર્થોર્પાજન અર્થાત્ ધન કમાવા (Earning)ના એવા કેટલાક માર્ગ વિશે જણાવવામાં આવેલું છે કે, જે કદીયે આપનાવવા ન જોઇએ.
એ તમને બરકત તો નહિં જ આપે, ઉલટાનું ગરીબી(Poverty)માં ધકેલી દેશે!
આચાર્ય ચાણક્યનો શ્લોક
"અન્યાયોપાર્જિતં દ્રવ્યં દશ વર્ષાણિ તિષ્ઠતિ
પ્રાપ્તે એકાદશે વર્ષે સમૂળં ચ વિનશ્યતિ"
શ્લોકનું અર્થઘટન:
અન્યાય, અનીતિ અને ખોટા રસ્તે કમાયેલું ધન કેવળ દસ વર્ષ જ ટકે છે અને અગિયારમું વર્ષ શરુ થાય ત્યારે આ ધનનો નાશ થઇ જાય છે!

કોણ હતા આચાર્ય ચાણક્ય?
ચાણક્ય પ્રાચીન ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિના પ્રકાંડ પંડિત હતા. ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupt Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.
ચાણક્યે 'અર્થશાસ્ત્ર' (Arthshastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે 'નીતિશાસ્ત્ર' (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે. સામ, દામ, દંડ અને ભેદ એ ચાર એમની નીતિના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે.

Chanakya Niti Sutra: આ 3 માર્ગથી ધન ન કમાશો
આજના સમયમાં પણ આ નીતિઓ એટલી જ સુસંગત છે. આજે તમને આચાર્ય ચાણક્યની એક એવી નીતિ વિશે વાત કરીશું, જેને અપનાવી લેવાથી જીવનભર તમને ધન- સંપત્તિ (Wealth)ની કોઇ જ કમી રહેશે નહિં. દરેક મનુષ્યે પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઇએ એનો ઉલ્લેખ, આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રમાં અત્યંત સરળ રીતે કરવામાં આવેલો છે. મનુષ્યજીવન ને સ્પર્શતી અને એના માટે આવશ્યક હોય, એવી પ્રત્યેક બાબતનો ઉલ્લેખ નીતિ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.
શી રીતે ધન કમાવું જોઇએ એ વિશએ પણ ચાણક્યે નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે. અમુક એવા માર્ગ હોય છે જે માર્ગે ચાલીને જો તમે ધન (Money) અર્જિત કરશો તો એ બરકત નહિં પણ ગરીબી તરફ ધકેલી દે છે.

ચોરી કરીને મેળવેલું ધન
આચાર્ય ચાણક્યના કહેવા અનુસાર, ચોરીનું ધન હંમેશાં બરબાદી જ લાવે છે. એ ન તો આત્માને સંતોષ આપી શકે છે અને આમ કરનાર વ્યક્તિ સમાજમાં માન-સન્માન પણ ગુમાવે છે. ધન ચોરનાર વ્યક્તિની આર્થિક સ્થિતિ ધીમે-ધીમે ખરાબ થાય છે જે ક્યારેય સુધરતી નથી.
દગાથી પ્રપ્ત કરેલું ધન
જો કોઈ વ્યક્તિને દગો કરીને કે છળપૂર્વક એનું ધન પડાવી લેવામાં આવે તો આવું ધન પણ તમને સમૃદ્ધિ પ્રદાન કરતું નથી. કોઇને દગો આપીને મેળવેલું ધન તમને માનસિક રીતે હેરાન-પરેશાન કરી મૂકે છે અને આવા દગાની વાત જાહેર થઇ જાય તો તમારા સન્માનને પણ ઠેસ પહોંચે છે. આથી કોઈને દગો કરીને કે અંતર કકળાવીને ધન ન કમાવું જોઇએ અલબત્ત, વિચાર સુદ્ધાં ન કરવો જોઇએ.
અનૈતિક માર્ગથી કમાયેલું ધન
આચાર્ય ચાણક્ય અનુસાર, જો તમે ધન કમાવાના અનૈતિક માર્ગો શોધો છો તો ક્યારેય બરકત આવતી નથી. કાયદા અને નિયમોનો ભંગ કરીને કમાયેલું ધન આખરે તો તમને દરિદ્રતા તરફ જ દોરી જાય છે. જો તમે લાંચ લો છો, અને જે કાર્ય નાણાની લેવડ-દેવડ વિના થવું જોઇએ એમાં પૈસા લઇને કરો છો તો આને અનૈતિક ધન કહે છે. આવું ધન તમને સુખ, શાંતિ કે સમૃદ્ધિ આપતું નથી આથી, આ રીતે ધન કમાવાથી બચવું જોઇએ.

