ચોમાસાની ઋતુમાં વરસાદી માહોલ અને પ્રકૃતિની સુંદરતા દરેકના મનને પ્રફુલ્લિત કરી દે છે, પરંતુ તેની સાથે કેટલીક નાની-મોટી અગવડતાઓ પણ આવે છે. આ દિવસોમાં સૌથી વધુ પરેશાની ફૂટવેરને લઈને થાય છે. વાતાવરણમાં રહેલા ભારે ભેજ અને રસ્તા પરના ગંદા પાણીના કારણે જૂતા (shoes) ની અંદર બેક્ટેરિયા તેમજ ફંગસ ખૂબ જ ઝડપથી પ્રસરવા લાગે છે, જે પાછળથી અસહ્ય દુર્ગંધનું કારણ બને છે.
જો તમે પણ આ સમસ્યાથી ચિંતિત છો, તો આ સરળ ઘરેલું નુસખા જૂતાની વાસને મિનિટોમાં દૂર કરી દેશે.
જૂતાની ગંદી વાસ અને ભેજ ગાયબ કરવાના 4 રામબાણ ઉપાયો
1.બેકિંગ સોડાનો જાદુઈ પ્રયોગ: બેકિંગ સોડા માત્ર રસોડાની વાનગીઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે એક ઉત્તમ ઓડર એબ્સોર્બ (ગંધ શોષક) પણ છે. રાત્રે સૂતી વખતે તમારા જૂતાની અંદર એક ચમચી જેટલો બેકિંગ સોડા છાંટી દો. તે આખી રાત દરમિયાન અંદર રહેલી તમામ ભેજ અને ગંદી વાસને શોષી લેશે. સવારે જૂતાને બરાબરઝાટકીને સાફ કરી લો, ફૂટવેર એકદમ ફ્રેશ થઈ જશે.
2.ચાના પાંદડા કે ટી-બેગ્સનો ઉપયોગ: ચાના પાંદડામાં રહેલા કુદરતી તત્વો જંતુઓ અને બેક્ટેરિયાનો નાશ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. વપરાયેલી ટી-બેગને સુકવીને અથવા તો સૂકા ચાના પાંદડાને એક પાતળા સુતરાઉ કાપડમાં બાંધીને પોટલી બનાવી લો. આ પોટલીને જૂતામાં થોડા કલાકો માટે મૂકી રાખવાથી અંદર રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને જૂતામાં એક સરસ તાજી સુગંધ બેસી જાય છે.
3.ન્યૂઝપેપર (અખબાર) થી ક્વિક ડ્રાયિંગ: વરસાદમાં ભીના થયેલા જૂતાને ઝડપથી સુકવવા અને બેક્ટેરિયાના ફેલાવને રોકવા માટે જૂના અખબારો સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. ન્યૂઝપેપરને થોડું ફોલ્ડ કરીને જૂતાની અંદર બરાબર ભરી દો. તે અંદર રહેલી ભીનાશને સ્પોન્જની જેમ ઝડપથી ખેંચી લેશે. જો કાગળ વધુ ભીનો થઈ જાય, તો તેને બદલીને બીજું સૂકું અખબાર મૂકી દેવું.
4.હવા અને સૂર્યપ્રકાશનો લાભ: ચોમાસા દરમિયાન ભલે તડકો ઓછો નીકળતો હોય, પરંતુ જ્યારે પણ વાદળો હટે અને થોડો પણ સૂર્યપ્રકાશ દેખાય ત્યારે જૂતાને બહાર ખુલ્લામાં મૂકવાની તક ચૂકશો નહીં. સૂર્યપ્રકાશ એક કુદરતી સેનિટાઇઝરની ભૂમિકા ભજવે છે, જે ફૂટવેરમાં રહેલી ફૂગ અને ઝીણા જંતુઓનો જડમૂળથી નાશ કરે છે.

