Gujarat News : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા સમગ્ર ગુજરાતના અર્બન લોકલ બોડીઝ (ULBs), રૂરલ લોકલ બોડીઝ (RLBs), SBM-અર્બન, SBM-રૂરલ, DRDA, બલ્ક વેસ્ટ જનરેટર્સ (BWGs) વગેરે માટે વર્ચ્યુઅલ મોડમાં "સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026 પર કેપેસિટી બિલ્ડિંગ અને અવેરનેસ પ્રોગ્રામ" વિષય પર એક રાજ્ય સ્તરીય વેબિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ULBs અને RLBs ના અધિકારીઓ, ઉદ્યોગોના પ્રતિનિધિઓ, GPCB ના અધિકારીઓ અને અન્ય હિતધારકો (સ્ટેકહોલ્ડર્સ) સહિત અંદાજે 700 જેટલા સહભાગીઓએ જોડાયા હતા.
આ વેબિનારનું ઉદ્ઘાટન GPCBના અધ્યક્ષ આર. બી. બારડ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે GPCB ના સભ્ય સચિવ દીપાલી ટાંક દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટરૂલ્સ, 2026ના અસરકારક અમલીકરણના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ વેબિનારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના મુખ્ય પાસાઓ અને માનનીય સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના મુખ્ય નિર્દેશો પર નિષ્ણાતો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. પર્યાવરણ નિષ્ણાત અને ‘કચરે સે આઝાદી ફાઉન્ડેશન’ના પ્રમોટર ડૉ. સુનીત ડાબકે કચરો ઉત્પન્ન કરનારાઓ (વેસ્ટ જનરેટર્સ) અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. ‘બીએ પ્રેરણા ગ્રુપ ઓફ કંપનીઝ’ના ડાયરેક્ટર નીરજ મિથાણીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોના અમલીકરણમાં સ્થાનિક સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે ચર્ચા કરી હતી.
GPCB ના અધિકારીઓ દ્વારા લેવાયેલા ટેકનિકલ સત્રોમાં, સોલિડ વેસ્ટ હોટસ્પોટની ઓળખ કરવા માટે GPCB દ્વારા વિકસાવવામાં આવેલા વેસ્ટ જનરેશન મોનિટરિંગ અને મેનેજમેન્ટ સોફ્ટવેર "પ્રતિજ્ઞા પોર્ટલ" (PRATIGYA PORTAL) તેમજ બલ્ક વેસ્ટ જનરેટર્સની નોંધણી માટેના સેન્ટ્રલાઈઝ્ડ પોર્ટલ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એક ઇન્ટરેક્ટિવ પ્રશ્ન-ઉત્તરી સત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનાથી સહભાગીઓને અમલીકરણ સંબંધિત મૂંઝવણો દૂર કરવા અને તેમના વ્યવહારુ અનુભવો શેર કરવાની તક મળી હતી.

આ સત્ર અત્યંત માહિતીપ્રદ રહ્યું હતું અને તેણે નિયમનકારી આવશ્યકતાઓ, દેખરેખ પ્રણાલીઓ (મોનિટરિંગ મેકેનિઝમ) અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે મૂલ્યવાન વિગતો પૂરી પાડી હતી. આ કાર્યક્રમે સહભાગીઓને ગુજરાતભરમાં કચરા વ્યવસ્થાપનની પ્રણાલીઓમાં પ્રભાવશાળી ફેરફારો લાવવા માટે જરૂરી જ્ઞાન અને સમજણથી સજ્જ કર્યા છે, જે સ્વચ્છ શહેરો અને ટકાઉ પર્યાવરણીય શાસન (સસ્ટેનેબલ એન્વાયરમેન્ટલ ગવર્નન્સ) તરફ યોગદાન આપશે તેમ,ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
ગુજરાતને પ્રદૂષણમુક્ત બનાવવા GPCBની ભૂમિકા મહત્વપૂર્ણ: પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા
16 વર્ષથી કાર્યવાહી ન થતા દેવરામ ચારણે ગાંધીનગર GPCB કચેરી બહાર શરૂ કર્યા ઉપવાસ

