Gujarat Monsoon Update: ગુજરાતમાં છેલ્લા 22 કલાક દરમિયાન રાજ્યના 186 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે અમરેલી, નવસારી અને ગીર સોમનાથ જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પર અસર જોવા મળી રહી છે.
સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં 8 ઈંચ નોંધાયો છે.
જ્યારે રાજુલામાં 7 ઈંચ, સાવરકુંડલામાં 4 ઈંચ અને જાફરાબાદમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
નવસારી જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગણદેવીમાં 6.5 ઈંચ, ચીખલીમાં 6 ઈંચ તેમજ જલાલપોર અને નવસારી શહેરમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખેરગામમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડામાં 3.5 ઈંચ અને મહુવામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના પલસાણા અને ઓલપાડ તાલુકામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય 175 તાલુકાઓમાં પણ વરસાદ યથાવત રહ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓ અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે.

