Morbi News: જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે ખેડૂતો માટે મુશ્કેલીભર્યા સમાચાર સામે આવ્યા છે. હળવદ તાલુકાના ઈગોરાળા અને મયાપુર ગામની સીમમાં વરસાદી પાણી ભરાઈ રહેતા આશરે 2 હજાર વીઘાથી વધુ જમીનમાં કપાસ અને મગફળી સહિતનો પાક નષ્ટ (Farmers Crop Damage) થયો હોવાનો અંદાજ છે. ખેતરો લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલા રહેતા પાકના મૂળિયાં કોહવાઈ ગયા હતા.
પાણી ઓસર્યા બાદ ખેતરોમાં ઉભેલા સુકાયેલા પાકનું દ્રશ્ય જોઈ ખેડૂતોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
ખેતરો તળાવમાં ફેરવાયા, પાકના મૂળિયાં સડી ગયા
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ચોમાસાના પ્રારંભથી જ વરસાદી માહોલજોવા મળ્યો હતો. ત્યારબાદ પડેલા ભારે વરસાદના કારણે ઈગોરાળા અને મયાપુર ગામની સીમમાં આવેલા અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ખેતરો લાંબા સમય સુધી પાણીમાં ગરકાવ રહ્યા હતા. જેના કારણે પાકના મૂળ સુધી પાણી ભરાઈ જતા છોડ નબળા પડી ગયા અને અંતે પાક સુકાઈ ગયો.
Farmers Crop Damage: કપાસ, મગફળી અને એરંડાનો પાક થયો નષ્ટ
હવે વરસાદી પાણી ધીમે ધીમે ઓસર્યા બાદ ખેતરોની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે.ખેતરોમાં ઉભેલો લીલોછમ કપાસ, મગફળી અને એરંડાનો પાક હવે સુકાઈને કાળો પડી ગયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, બંને ગામોની સીમમાં આશરે 2,000 વીઘાથી વધુ જમીનમાં પાકને મોટું નુકસાન (Farmers Crop Damage) થયું છે.
ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી
ખેડૂતોએ જણાવ્યું કે મોંઘા બિયારણ, ખાતર, ખેડાણ અને મજૂરી પાછળ મોટો ખર્ચ કર્યા બાદ પાક તૈયાર થયો હતો. પરંતુ ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે સમગ્ર પાક આંખ સામે બરબાદ થઈ ગયો છે.હવે પાક નિષ્ફળ જતા ખેડૂતોને ફરીથી વાવણી કરવાની ફરજ પડી શકે છે, જેના કારણે આર્થિક ભારણ વધવાની ચિંતા ઉભી થઈ છે.
Farmers Crop Damage: તાત્કાલિક સર્વે અને વળતરની માગ
ઈગોરાળા અને મયાપુરના ખેડૂતોએ સરકાર અને તંત્ર પાસે નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવાની માગ કરી છે.ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અને કૃષિ વિભાગને રજૂઆત કરીને માંગ કરી છે કે સ્થળ પર અધિકારીઓની ટીમ મોકલી પાક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે સહાય આપવામાં આવે.ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર મદદ નહીં મળે તો અનેક પરિવારો દેવાના બોજ હેઠળ દબાઈ શકે છે.

