Vadodara News : વડોદરાની Maharaja Sayajirao University of Baroda (MS University)માં એડમિશન પ્રક્રિયા દરમિયાન વિવાદ સર્જાતા કેમ્પસમાં તંગદિલીનો માહોલ ઉભો થયો છે. કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થી સંગઠનોના વિરોધ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હોબાળાની ઘટના સામે આવી છે.
કોમર્સ ફેકલ્ટી (Commerce Faculty)ના ડીન પ્રજ્ઞેશ શાહે આરોપ લગાવ્યો કે એડમિશન પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થી સંગઠનો ના કાર્યકરોએ સ્ટાફ સાથે ગાળાગાળી કરી અને મારામારી પણ કરી હતી.
તેમણે એવો પણ દાવો કર્યો કે ઘટનાક્રમ દરમિયાન તેમને લાફો મારવામાં આવ્યો હતો.
ઘટનાના કારણે એડમિશન પ્રક્રિયા થોડા સમય માટે અટકાવવાની ફરજ પડી હતી. જોકે બાદમાં ફેકલ્ટી સ્ટાફ અને જવાબદાર લોકો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પ્રવેશ પ્રક્રિયા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું.

ડીને સ્પષ્ટ કર્યું કે હાલ તેમની તરફથી કોઈ પોલીસ ફરિયાદ કરવાની યોજના નથી. તેમણે કહ્યું કે સમગ્ર મામલે આંતરિક ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
બીજી તરફ, ઘટનાક્રમ દરમિયાન ફેકલ્ટીના કેટલાક સ્ટાફ દ્વારા પણ વિદ્યાર્થીઓ પર હાથ ઉપડ્યાની કબૂલાત સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે યુનિવર્સિટી કેમ્પસમાં ચર્ચાઓ તેજ બની છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ પણ ઉઠી રહી છે.
ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું કે ઘટનાના વિરોધમાં આવતીકાલથી ફેકલ્ટીના સભ્યો કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવશે. સાથે જ સ્ટાફ સાથે વધુ ચર્ચા કર્યા બાદ આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
હાલ MS યુનિવર્સિટી (MS University)પ્રશાસન દ્વારા એડમિશન પ્રક્રિયાને નિયમિત બનાવવા અને વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

