Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં રવિવારે (6 જુલાઈ) સવારે સિંહે એક માલધારી પર હુમલો (Palitana Lion Attack) કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં લોકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઇજાગ્રસ્ત માલધારીને તાત્કાલિક પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનાને લઈને વન વિભાગે તપાસ શરૂ કરી છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે સિંહ માલધારીને જમીન પર દબોચીને બેઠો છે. આસપાસ હાજર લોકો બૂમાબૂમ કરી સિંહને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકોએ પથ્થર ફેંકીને સિંહને દૂર હંકારવાનો પ્રયાસ કર્યો હતો. માલધારી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ હુમલા દરમિયાન તેના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી વહેતું જોવા મળ્યું હતું.
પાલિતાણામાં સિંહના હુમલા (Palitana Lion Attack)થી માલધારી લોહીલુહાણ
પ્રાથમિક માહિતી અનુસાર, ગરજીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા માલધારી કાળુભાઈ બોઘાભાઈ ગમારા પોતાના ઘરે હતા ત્યારે અચાનક સિંહે તેમના પર હુમલો (Palitana Lion Attack) કર્યો હતો. ગ્રામજનોએ હિંમત દાખવી તેમને સિંહના ચંગુલમાંથી છોડાવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક વન વિભાગને પણ માહિતી આપવામાં આવી હતી.
પાલિતાણા તાલુકા પંચાયતના સભ્ય ચેતન ડાભીએ જણાવ્યું કે સવારે આશરે સાડા આઠ વાગ્યે ત્રણ સિંહ ગામમાં પ્રવેશ્યા હતા. તેમના જણાવ્યા મુજબ સિંહ કાળુભાઈના ઘર સુધી પહોંચી ગયો હતો અને ત્યાં હુમલો (Palitana Lion Attack) કર્યો હતો. તેમણે વન વિભાગને ગામમાંથી સિંહોને સુરક્ષિત રીતે જંગલમાં ખસેડવાની માંગ કરી છે. સાથે જ ગામની સુરક્ષા અંગે અનેક વખત રજૂઆત છતાં પૂરતું ધ્યાન ન અપાતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
ગરજીયા ગામના સરપંચના પતિ સવજીભાઈએ જણાવ્યું કે ઘટનાની જાણ કર્યા બાદ વન વિભાગની ટીમ લગભગ દોઢ કલાક પછી સ્થળ પર પહોંચી હતી. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષથી ગામમાં સિંહોની અવરજવર સતત જોવા મળે છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ રહે છે. તેમણે સિંહોને તેમના કુદરતી રહેણાંક વિસ્તારમાં ખસેડવા અને ગામની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
ઘટના બાદ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. હુમલો (Palitana Lion Attack) કરનાર સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે તો તેમને પકડીને અન્ય સુરક્ષિત વિસ્તારમાં ખસેડવાની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાના પગલે ગરજીયા ગામ સહિત આસપાસના વિસ્તારોના માલધારીઓ અને ગ્રામજનોમાં પોતાના પરિવાર તેમજ પશુધનની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

