Ahmedabad News : અમદાવાદની હાઈ-સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલ (Sabarmati Jail)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્રિકેટ સટ્ટા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી હરેશ મૂલચંદાણીએ નકલી વકીલ (Fake Lawyer)નો વેશ ધારણ કરીને જેલમાં પ્રવેશ કર્યો હોવાના આક્ષેપો બાદ સમગ્ર વકીલ આલમમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટના વકીલોએ રાણીપ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નકલી ઓળખથી જેલમાં પ્રવેશનો આક્ષેપ
વકીલો દ્વારા આપવામાં આવેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે હરેશ મૂલચંદાણીએ વકીલનો ગણવેશ પહેરી અને નકલી ઓળખ (Fake Lawyer)ના આધારે સાબરમતી સેન્ટ્રલ જેલ (Sabarmati Jail)માં પ્રવેશ મેળવ્યો હતો. આ દરમિયાન તેણે જેલમાં બંધ એક આરોપી સાથે સત્તાવાર મુલાકાત પણ કરી હોવાનું જણાવાયું છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો જેલની સુરક્ષા વ્યવસ્થા અને ઓળખ ચકાસણીની સમગ્ર પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
સુરક્ષા પ્રક્રિયા છતાં કેવી રીતે મળી એન્ટ્રી?
સામાન્ય રીતે કોઈપણ વકીલેપોતાના અસીલને જેલમાં મળવા માટે સ્ટેટ બાર કાઉન્સિલનું અધિકૃત ઓળખપત્ર (Sanad Card), જરૂરી દસ્તાવેજો અને સત્તાવાર મંજૂરી રજૂ કરવી ફરજિયાત હોય છે. આવી કડક પ્રક્રિયા હોવા છતાં કોઈ બિન-અધિકૃત વ્યક્તિ જેલમાં પ્રવેશી શકી હોવાના આક્ષેપોને લઈને વકીલોએ સુરક્ષા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ઈ-વેરિફિકેશન સિસ્ટમ અમલમાં મૂકવાની માંગ
આ ઘટનાને ધ્યાનમાં રાખીને વકીલ સમુદાયે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ વિવિધ વકીલ મંડળોને રજૂઆત કરી છે. તેમણે વકીલોની ઓળખ માટે આધુનિક ઈ-વેરિફિકેશન સિસ્ટમ અમલમાં મૂકવાની માંગ કરી છે. તેમનું માનવું છે કે ડિજિટલ ઓળખ ચકાસણીની વ્યવસ્થા અમલમાં આવશે તો ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ નકલી વકીલ બની કોર્ટ અથવા જેલ જેવા સંવેદનશીલ સ્થળોએ પ્રવેશ મેળવી શકશે નહીં.
હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની પ્રતિક્રિયા
હાઈકોર્ટએડવોકેટ્સ એસોસિએશનના કમિટી સભ્યો એડવોકેટ વિરાજ દેસાઈ અને એડવોકેટ પ્રમોદ ગેહલોતે સમગ્ર ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. તેમણે જણાવ્યું કે માત્ર વકીલનો ડ્રેસ પહેરીને કોઈને પ્રવેશ આપવાના બદલે બાર કાઉન્સિલ રજીસ્ટ્રેશન નંબર, અધિકૃત ઓળખપત્ર અને સંબંધિત કેસની વિગતોની કડક ચકાસણી ફરજિયાત બનાવવી જોઈએ.
હાલ સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા અરજીના આધારે તપાસની કાર્યવાહી શરૂ થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.
અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પોક્સોની સજા પામેલો કેદી ફરાર
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત, માત્ર 9 દિવસમાં જીવનનો અંત; પોલીસ તપાસ શરૂ

