Rajkot News : લોકસભા ચૂંટણી દરમિયાન ક્ષત્રિય આંદોલનનો અગત્યનો ચહેરો બનેલા રાજકોટના પદ્મિનીબા વાળાએ આજે 7 એપ્રિલે આમ આદમી પાર્ટી (AAP)માં વિધિવત પ્રવેશ કર્યો છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.
આ પ્રસંગે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, "સરકારની તાનાશાહીનો ભોગ બનેલા તમામ લોકોને અમે આમ આદમી પાર્ટી(AAP)માં આવકારીએ છીએ." તેમણે ઉમેર્યું કે પદ્મિનીબા વાળા પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા મહિલાઓને દર મહિને આપવામાં આવતા ₹1000ની યોજનાથી પ્રેરાઈ પાર્ટીમાં જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલાં પદ્મિનીબા વાળાએ ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાના હસ્તે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તેઓ ક્ષત્રિય આંદોલનમાં સક્રિય બની ભાજપ વિરુદ્ધ અવાજ ઉઠાવતા જોવા મળ્યા હતા. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં તેમણે AAPમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, "આમ આદમી પાર્ટી(AAP) સામાન્ય લોકોની પાર્ટી છે. અમે તેમના કામથી પ્રભાવિત થઈને પાર્ટીમાં જોડાયા છીએ. હું છેલ્લા 15 વર્ષથી સમાજની બહેનો અને દીકરીઓ માટે કાર્ય કરી રહી છું અને આગળ પણ આ સેવા ચાલુ રાખીશ."
તેમણે વધુમાં કહ્યું કે, "બીજી પાર્ટીઓ માત્ર વચનો આપે છે, જ્યારે આમ આદમી પાર્ટી વાસ્તવમાં કામ કરે છે. પંજાબમાં મહિલાઓને દર મહિને ₹1000 આપવાની યોજના મને ખાસ પ્રેરણાદાયક લાગી."
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, "આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકોની આશા બની રહી છે. વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો પાર્ટીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ જોડાઈ રહ્યા છે." તેમણે ઉમેર્યું કે ક્ષત્રિય આંદોલનમાં મહિલાઓનો અવાજ બનેલા પદ્મિનીબા વાળાનું પાર્ટીમાં જોડાવું મહત્વપૂર્ણ છે.

