Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝડપાયેલા બનાવટી પનીર (Adulteration paneer)ના જથ્થા અંગે લેબોરેટરી રિપોર્ટ સામે આવતા ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation)ના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓમાં પનીરને 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કુદરતી દૂધના ફેટના બદલે વેજીટેબલ ઓઈલ અને હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ થયો હોવાની પુષ્ટિ થઈ છે.
આ ખુલાસાએ શહેરના નાગરિકોમાં આરોગ્ય અંગે ચિંતા વધારી છે.
પનીર (Adulteration paneer)માં પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડ!
ફૂડ સેફ્ટી અધિકારીઓના જણાવ્યા મુજબ પનીર(Adulteration paneer)માં મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ ઓછું હતું, જ્યારે તેમાં પામોલીન આધારિત વેજીટેબલ ઓઈલનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. તપાસ દરમિયાન વધુ ગંભીર બાબત એ સામે આવી કે પનીર બનાવવા માટે ફૂડ ગ્રેડ એસિડના બદલે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. નિષ્ણાતોના મતે, આવા કેમિકલ્સનું લાંબા ગાળે સેવન કરવાથી કિડનીને નુકસાન પહોંચે અને આંતરડાં સંબંધિત ગંભીર બીમારીઓનો ખતરો ઊભો થઈ શકે છે.
તપાસમાં આરોપી મહેશ શર્માની કામગીરી પણ સામે આવી છે, જે પરપ્રાંતના લાયસન્સના આધારે સુરતમાં ગેરકાયદે ફેક્ટરી ચલાવતો હતો. લાયસન્સ મહારાષ્ટ્રના સરનામે નોંધાયેલું હોવા છતાં ઉત્પાદન પાંડેસરામાં કરવામાં આવતું હતું, જે નિયમોના ભંગ સમાન છે. આ રીતે તે લાંબા સમયથી તંત્રને ગેરમાર્ગે દોરતો રહ્યો હતો.

Adulteration paneer
આ પકડાયેલું પનીર (Adulteration paneer) વાસ્તવમાં 'એનાલોગ પનીર' (Analogue paneer) હોવાનું બહાર આવ્યું છે, જે દૂધથી નહીં પરંતુ પામોલીન તેલ, મિલ્ક પાવડર અને પાણીના મિશ્રણથી તૈયાર કરવામાં આવતું હતું. મશીનરીની મદદથી તેને અસલી પનીર જેવો દેખાવ અને ટેક્સચર આપવામાં આવતું હતું, જેથી સામાન્ય ગ્રાહકોને તેની નકલી ઓળખ કરવી મુશ્કેલ બનતી હતી.
આ ગેરકાયદેસર નેટવર્કનો એક મહત્વનો પાસો તેની સસ્તી કિંમત હતી. જ્યાં બજારમાં શુદ્ધ પનીર 400થી 450 રૂપિયા પ્રતિ કિલો મળે છે, ત્યાં આ નકલી પનીર માત્ર 180થી 220 રૂપિયામાં વેચવામાં આવતું હતું. આ ભાવફેર જ તેની ગુણવત્તા અંગે શંકા ઊભી કરે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી છેલ્લા બે વર્ષથી આ નેટવર્ક ચલાવી રહ્યો હતો અને દરરોજ સેકડો કિલો પનીર શહેરની નાની ડેરીઓ અને લારીઓ સુધી પહોંચાડતો હતો.
પોલીસ અને તંત્રના અનુમાન મુજબ અત્યાર સુધીમાં હજારો કિલો આવું શંકાસ્પદ પનીર બજારમાં પહોંચીને લોકો દ્વારા ઉપયોગમાં લેવાયું હોઈ શકે છે. ખાસ કરીને હોટલો અને ફૂડ સ્ટોલ્સમાં તેનો વધુ ઉપયોગ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવે મહાનગરપાલિકા દ્વારા આ સપ્લાય ચેઇન સાથે જોડાયેલા વેપારીઓ અને હોટલો સામે પણ તપાસનો દોર વિસ્તરવાની શક્યતા છે.

