America Withdraw 25% Tariff on India: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર (વેપાર યુદ્ધ) માં ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યા છે કે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને આગામી સમયમાં પાછો ખેંચી શકાય છે. અમેરિકાની આ વ્યૂહરચના ભારતને રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવા માટે મજબૂર કરવા માટે હતી, જે હવે સફળ થતી દેખાઈ રહી છે.
ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો
સ્કોટ બેસેન્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે, ટેરિફની વ્યૂહરચના ‘અત્યંત સફળ’ રહી છે કારણ કે તેના કારણે રશિયન તેલ પર ભારતની નિર્ભરતામાં મોટો ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું કે, “જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક રહેશે, તો આ 25% ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.” જો આ નિર્ણય લેવાય છે, તો ભારતીય નિકાસકારોને મોટી આર્થિક રાહત મળશે.
ભારત (India) પર અત્યારે કેટલો ટેરિફ છે?
અમેરિકાએ ભારત પર હાલમાં બે પ્રકારના ટેરિફ લાદેલા છે, જેના કારણે ભારતની અર્થવ્યવસ્થા પર મોટો બોજ પડ્યો છે. ભારતની કુલ નિકાસના અંદાજે 55% હિસ્સા પર 25% સામાન્ય ટેરિફ લાગુ છે, જ્યારે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ઓગસ્ટ 2025થી વધારાનો 25% ઓઇલ પેનલ્ટી ટેરિફ અમલી બનાવવામાં આવ્યો છે. આમ, અત્યારે ઘણી ભારતીય ચીજવસ્તુઓ પર કુલ 50% જેટલો જંગી ટેરિફ લાગુ થઈ રહ્યો છે.

રશિયન તેલ પર પ્રાઇસ કેપ અને નવી મર્યાદા
રશિયાની તેલની આવક ઘટાડવા માટે અમેરિકા અને G7 દેશોએ ‘પ્રાઇસ કેપ’ સિસ્ટમ અમલમાં મૂકી છે. આ વ્યવસ્થા હેઠળ જાન્યુઆરી 2026 સુધી રશિયન તેલની કિંમત 47.60 ડૉલર પ્રતિ બેરલ નક્કી કરાઈ છે, જે 1 ફેબ્રુઆરી 2026થી વધુ ઘટાડીને 44.10 ડૉલર કરી દેવામાં આવશે. જો રશિયા આ નક્કી કરેલા ભાવથી વધુ કિંમતે તેલ વેચશે, તો તેને વીમો અને શિપિંગ જેવી વૈશ્વિક સુવિધાઓ મળતી બંધ થઈ જશે.
ભારતીય રિફાઇનરીઓએ તેલ લેવાનું બંધ કર્યું?
અમેરિકાનો દાવો છે કે જાન્યુઆરી 2026માં ભારતની મોટી રિફાઇનરીઓએ રશિયન તેલ લેવાનું બંધ કરી દીધું છે. જોકે, ભારત સરકારે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે તે તેની ઊર્જા જરૂરિયાતો રાષ્ટ્રીય હિતના આધારે નક્કી કરે છે. ભારત અત્યારે અમેરિકાના સંભવિત 500% ટેરિફવાળા નવા બિલ પર પણ સતર્કતાથી નજર રાખી રહ્યું છે.

