મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ટર્મની વરણીઓ પૂર્ણ થતાં જ સ્થાનિક રાજકારણમાં ભડકો થયો છે. ભાજપના વર્ષો જૂના અને વફાદાર ગણાતા દલવાડી સમાજમાં પદ વિતરણને લઈને તીવ્ર અસંતોષ ફાટી નીકળ્યો છે, જે હવે જાહેરમાં આવી ગયો છે. આ આક્રોશના ભાગરૂપે કમલમ ખાતે યોજાયેલી મહત્વની બેઠકથી સમાજના તમામ કોર્પોરેટરોએ અંતર જાળવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં જ મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપની ટિકિટ પરથી દલવાડી સમાજના ૮ કોર્પોરેટરો વિજેતા બન્યા હતા. લોકસભા, વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને મજબૂત લીડ અપાવવામાં અગ્રેસર રહેલા આ સમાજને આશા હતી કે પાલિકાના મુખ્ય હોદ્દાઓમાં તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે. જોકે, મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન કે કારોબારી સમિતિના સભ્ય તરીકે દલવાડી સમાજના એકપણ કોર્પોરેટરને સ્થાન ન મળતાં સમાજમાં સખત નારાજગી વ્યાપી ગઈ છે.
આ આંતરિક વિખવાદ ગઈકાલે ત્યારે સપાટી પર આવ્યો જ્યારે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોટાભાગના હોદ્દેદારો અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા, પરંતુ નારાજ થયેલા દલવાડી સમાજના તમામ ૮ કોર્પોરેટરોએ આ બેઠકથી સંપૂર્ણ દૂરી બનાવી રાખી હતી.
પરંતુ જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાને આ અંગે પૂછતાં એમને જણાવ્યું હતું કે આશરે ત્રણ કોર્પોરેટર હોસ્પીટલનું કામ હોવાથી બેઠકમાં હાજર રહી શક્યા ન હતા અને અન્ય બે કોર્પોરેટર પ્રસંગમાં ગયા હોવાથી ગેરહાજર રહ્યા હતા. જ્યારે બાકીના કોર્પોરેટર હાજર હતા. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર સમાજની અવગણના થવાના કારને દલવાડી સમાજના કોર્પોરેટરે બેઠકથી અંતર જાળવીને પૂતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મોરબીમાં દલવાડી સમાજ મોટું મતદાન ધરાવે છે અને લાંબા સમયથી ભાજપની મજબૂત વોટબેંક માનવામાં આવે છે. આવા સંજોગોમાં આટલી નારાજગી પક્ષ માટે આગામી સમયમાં મોટો પડકાર સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ દલવાડી સમાજની આ નારાજગીને શાંત કરવા માટે કેવા ડેમેજ કંટ્રોલના પગલાં ભરે છે, કે પછી આ અસંતોષનો ફાટો વધુ ઊંડો થઈને પક્ષને મોટું નુકસાન પહોંચાડશે. 


