Mysamchar.in-દેવભૂમિ દ્વારકા:
તાજેતરની વિકાસ પરવાનગીની મંજૂરીઓની મુદત વધ્યા બાદ અનિયમિત વિકાસ દૂર કરવાનો માર્ગ પણ મોકળો થયો છે કેમકે ટાઉન પ્લાનિંગ એક્ટ અને GDCR એ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (General Development Control Regulations) છે, જે મકાનો અને બાંધકામ માટેના સરકારી નિયમો, એફએસઆઈ (FSI) મર્યાદા અને રસ્તાની પહોળાઈ નક્કી કરે છે.
તે બાબતે પગલાં લેવાની સત્તાઓ ચીફ ઓફિસર ઉપરાંત મામલતદાર, એસડીએમ અને કલેક્ટરને સત્તાઓ છે કેમકે આ નિયમોનો હેતુ આયોજનબદ્ધ વિકાસ અને સુરક્ષિત બાંધકામ સુનિશ્ચિત કરવું તે છે. હવે આ કાયદાઓના પાલન દ્વારકામાં ચુસ્ત રીતે થતા ન હોવા કે અમલવારીમાં પક્ષપાત થતા હોવાથી મહત્વના શહેર દ્વારકામાં કેટલાક વિસ્તારોમાં વપરાશ પરવાનગી વગર ચાલતા હોટલ ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ મામલે ઉચ્ચસ્તરીય તપાસની તાતી જરૂર હોવા અંગે દ્વારકાના જ જાણકારોએ સૂર પૂરાવ્યો છે.
દ્વારકા અને ઓખા વિસ્તારમાં બાંધકામ સહિતની વિકાસ પરવાનગીઓનો માર્ગ ફરી ખુલ્યો છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે તા. 23 જુલાઈ, 2026ના રોજ સત્તાવાર હુકમ બહાર પાડી બંને નગરપાલિકાઓને આ કામગીરી ચાલુ રાખવાની સત્તા તા. 30 સપ્ટેમ્બર, 2026 સુધી લંબાવી છે સરકારી હુકમ મુજબ દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ અસ્તિત્વમાં આવ્યા બાદ લેઆઉટ પ્લાન, બાંધકામ પરવાનગી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ સહિતની અરજીઓનો નિકાલ કરવાની જવાબદારી અગાઉની સ્થિતિ મુજબ દ્વારકા તથા ઓખા નગરપાલિકાઓને સોંપવામાં આવી હતી. આ સત્તાની છેલ્લી સમયમર્યાદા તા. 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થઈ હતી.સમયમર્યાદા પૂર્ણ થતાં બાંધકામ અને વિકાસ પરવાનગી અને કમ્પ્લિશન કે બિલ્ડિંગ યુઝ (બી.યુ.) સંબંધિત અરજીઓના નિકાલ સમયમર્યાદા વધુ છ માસ માટે રાજ્ય સરકારે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, 1976ની કલમ 23(2) હેઠળ મંજૂરી આપી છે. હવે દ્વારકા અને ઓખા નગરપાલિકાઓ તા. 31 માર્ચ પછી રજૂ થયેલી લેઆઉટ પ્લાન, બાંધકામ પરવાનગી તથા કમ્પ્લીશન સર્ટિફિકેટ સહિતની અરજીઓ અંગે નિયમ મુજબ નિર્ણય લઈ શકશે.
-કાયદો શું કહે છે ??
દ્વારકા શહેરમાં વેપારી કોમ્પ્લેક્સ, હોટેલ, ગેસ્ટહાઉસ, શોરૂમ અને અન્ય કોમર્શિયલ બાંધકામો ઝડપથી વધી રહ્યા છે. આવા બાંધકામોને મંજૂરી આપતી વખતે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ સંબંધિત (DCR/GDCR) તથા રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.
જો મંજૂરી પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન થાય, નકશા કરતાં વધારે બાંધકામ થાય, FSI માં ગેરરીતિ થાય અથવા 'વહીવટ"ના આધારે પરવાનગી આપવામાં આવે, તો માત્ર સરકારને જ નહીં પરંતુ ખરીદદારો અને રોકાણકારોને પણ મોટું નુકસાન થઈ શકે છે.જમીનનું ઝોનિંગ, માલિકીના દસ્તાવેજો, NA સ્થિતિ, મંજૂર બિલ્ડિંગ પ્લાન, પાર્કિંગ વગેરે સાથે વરસાદી પાણી નિકાલ, ગટર અને પર્યાવરણ સંબંધિત નિયમો સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું આ પરવાનગી મંજૂરી, સરકારના પત્ર મુજબ સ્પષ્ટ છે અને નિયમો મુજબની આ પ્રક્રિયા પારદર્શક રીતે અમલમાં આવે તો ગેરકાયદે બાંધકામ અટકાવી શકાય છે. જો કે, જ્યાં નિયમોના અમલમાં બેદરકારી કે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય ત્યાં શહેરના આયોજન પર લાંબા ગાળાની નકારાત્મક અસર પડી શકે છે.

