Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં જાહેર માર્ગો અને બિલ્ડિંગોના કામોમાં ગુણવત્તાને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચા એ જોર પકડ્યું છે અને હવે તો અમુક સરકારી વિભાગ જ આ બાબતે ટીકા કરતા સાંભળવા મળે છે કેમ કે વિકાસના કરોડો રૂપિયાના કામો છતાં ગુણવત્તા અંગે વારંવાર સવાલો ઊભા થતાં સામાન્ય નાગરિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
જો ટેન્ડરથી લઈને કામ પૂર્ણ થાય ત્યાં સુધી ગુણવત્તા નિયંત્રણની સંપૂર્ણ વ્યવસ્થા છે તો પછી નબળા મટીરિયલના આક્ષેપો કેમ થાય છે?
ડામર, કપચી, રેતી સહિતના મટીરિયલની ચકાસણી સમયસર થાય છે કે માત્ર કાગળો પૂરતી જ મર્યાદિત રહે છે? સ્થાનિક અધિકારીઓની સાઇટ પરની દેખરેખ કેટલી અસરકારક છે? અને દરેક વખતે ગુણવત્તા નિયંત્રણ વિભાગને મેદાનમાં આવી તપાસ કરવાની જરૂર કેમ પડે છે? સ્થાની કક્ષાએ ગુણવતા પરીક્ષણ માટે કોઈજ સુદ્રઢ વ્યવસ્થાઓ કેમ વિકસતી નથી??
વિકાસ કામોમાં ગેરંટી પિરિયડની જોગવાઈ છે, પરંતુ પ્રશ્ન એ પણ ઊઠે છે કે જો શરૂઆતથી જ કામ ઉચ્ચ ગુણવત્તાનું થાય તો ગેરંટી પિરિયડની જરૂર જ કેમ પડે? ગેરંટી દરમિયાન રોડ બગડે તો ત્યાં સુધી નાગરિકોને થતી માનસિક, શારીરિક અને આર્થિક મુશ્કેલીઓની જવાબદારી કોણ લેશે? શું ગેરંટી પિરિયડનો અર્થ નબળી કામગીરીને બાદમાં સુધારવાની વ્યવસ્થા ગણવી?
સૂત્રોમાં એવી પણ ચર્ચા છે કે કેટલીક જગ્યાએ વર્ક ઓર્ડર એક એજન્સીના નામે હોય છતાં કામગીરી અન્ય કોઈ દ્વારા થતી હોવાના પ્રશ્નો ઉઠી રહ્યા છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની વ્યવસ્થા હોવા છતાં તેની અસરકારકતા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. લોકોમાં માંગ ઉઠી રહી છે કે ગુણવત્તા ચકાસણીના તમામ અહેવાલો જાહેર કરવામાં આવે અને જવાબદારી પણ સ્પષ્ટ નક્કી કરવામાં આવે. નિષ્ણાતોનું માનવું છે કે રોડ માત્ર બનાવવા માટે નહીં પરંતુ વર્ષો સુધી સુરક્ષિત અને ટકાઉ રહે તે જ વિકાસની સાચી સફળતા ગણાય.(FIle image)

