નવગુજરાત સમય, અંકલેશ્વર
અંકલેશ્વર શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી અને પાલિકાના કરોડોના પ્રોજેક્ટ્સની હવા નીકળી ગઈ છે. શનિવારે એક જ દિવસમાં બે અલગ-અલગ જગ્યાએ દીવાલો ધસી પડવાની ઘટના બાદ તંત્ર દોડતું થયું છે. સવારે વરસાદી કાંસને કારણે એક દીવાલ ધસી પડી હતી. તે જ દિવસે સાંજે રહેણાંક વિસ્તારને અડીને આવેલા સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કની સેલાડવાડ તરફની દીવાલ ધડાકાભેર તૂટી પડી હોવાની ઘટનાના પગલે અફરાતફરી મચી ગઈ હતી.
કરોડો રૂપિયાના ખર્ચે આગવી ઓળખના ભાગરૂપે બનેલા આ સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કની દીવાલ આ રીતે તૂટતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બાંધકામ અત્યંત હલકી કક્ષાનું હતું. દીવાલ ધસી પડતાં સેલાડવાડના ગરીબ રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સુરક્ષાના ભાગરૂપે લોકો પોતાના ઘર છોડીને ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકની તાડપત્રી બાંધીને રાત વિતાવવા મજબૂર બન્યા છે. પરંતુ આરોપ છે કે પાલિકાના સત્તાધીશો હજુ સુધી તેમની વહારે આવ્યા નથી.
વિરોધ પક્ષના નગરસેવકોએ ચીમકી આપી છે કે, તપાસમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી સાબિત થાય તો તત્કાલીન જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ફોજદારી કાર્યવાહી થાય. જાહેર નાણાંના નુકસાનની વસૂલાત તેમની મિલકતમાંથી કરવામાં આવે. મામલો દબાય નહીં તે માટે અરજદારો અને નગરસેવકોએ પત્રની નકલો ભરૂચ જિલ્લા કલેક્ટર, પ્રાદેશિક કમિશનર સુરત, ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય તકેદારી આયોગને પણ મોકલી આપી છે.

