નવગુજરાત સમય, અંકલેશ્વર
અંકલેશ્વરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે આજે એક મોટી દુર્ઘટના બનતા અટકી હતી. શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલા તિરૂપતિ કોમ્પ્લેક્ષ પાછળ અડીને આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્ષનો આગળનો ભાગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. ધોધમાર વરસાદ વચ્ચે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલા તિરૂપતિ કોમ્પ્લેક્ષ પાછળ અડીને આવેલા 30 વર્ષ જૂના આ કોમ્પ્લેક્ષની છતનો એક મોટો હિસ્સો અચાનક તૂટીને નીચે આવેલી દુકાનો પર પડ્યો હતો. જે સમયે આ ઘટના બની ત્યારે સદનસીબે વરસાદના કારણે દુકાનોમાં તેમજ આસપાસના પેસેજમાં લોકોની અવરજવર ખૂબ જ ઓછી હતી. જેના લીધે એક બહુ મોટી જાનહાનિ કે કોઈને ગંભીર ઈજા થવાની ઘટના ટળી ગઈ હતી.
સ્થાનિકોએ રાહતનો શ્વાસ લેતા જણાવ્યું હતું કે, જો સામાન્ય દિવસોની જેમ આ સમયે પણ લોકોની ભીડ હોત તો પરિણામ ખૂબ જ ભયાનક આવી શકતું હતું. વરસાદી માહોલ વચ્ચે બનેલી આ ઘટનાએ જૂના અને જર્જરિત શોપિંગ કોમ્પ્લેક્સની માળખાકીય સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ચિંતાનો માહોલ છે, ત્યારે તંત્ર દ્વારા કોમ્પ્લેક્ષની સલામતી અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

