જળાશયની સ્થિતિ: બોરતળાવમાં 1 ફૂટ નવા નીર
ગુજરાતભરમાં ચોમાસું બરાબર જામ્યું છે. જેમાં ગત રાત્રે ભાવનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પરિણામે નીચાણવાળા વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારો જળબંબાકાર થયા હતા અને અનેક વાહનો પાણીમાં ફસાયા હતા, જેના કારણે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
છેલ્લા થોડાક દિવસથી પડી રહેલા હળવા વરસાદ બાદ ગત રાત્રે ભાવનગર શહેરમાં મેઘરાજાએ આક્રમક રીતે જોરદાર વરસાદ વરસાવ્યો હતો. લગભગ એક કલાક સુધી ધોધમાર વરસાદ પડતાં દોઢથી બે કલાકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અનેક સ્થળોએ ગોઠણસમા પાણી ભરાયા હતા અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ઘોઘા સર્કલથી લઈને જેલ રોડ સર્કલ તરફના રસ્તા પર પાણી ભરાવાના કારણે રસ્તો બંધ થયો હતો. વહેલી સવારથી નોકરી-ધંધે જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બોરતળાવની સ્થિતિ
ભાવનગર શહેરમાં ગત રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં માત્ર એક કલાકના ટૂંકા સમયમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે શહેરના મુખ્ય જળાશય એવા બોરતળાવમાં 1 ફૂટ નવા પાણીની આવક નોંધાઈ છે.

