નવગુજરાત સમય, અંકલેશ્વર
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આહવાન પગલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહિત સમગ્ર પંથકમાં તલાટી કમ મંત્રી મંડળે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ, તલાટીઓ હવે મહેસુલી સહિત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વધારાની કામગીરીથી અળગા રહેશે. જેના કારણે ગ્રામ્ય સ્તરે સરકારી વહીવટી કામગીરી ખોરવાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
અંકલેશ્વર TDO અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તલાટી મંડળના પ્રમુખ ગૌરાંગ વરીયાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ પર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસુલ સહિત અન્ય અનેક વિભાગોની વધારાની જવાબદારી સતત સોંપવામાં આવી રહી છે. કોઈ સ્પષ્ટ જોબ ચાર્ટ ન હોવાના કારણે તલાટીઓ પર કામનો બોજો અસહ્ય બની ગયો છે, જેના લીધે પંચાયતની મૂળભૂત અને લોકાભિમુખ કામગીરી પર પણ માઠી અસર પડી રહી છે.
અંકલેશ્વર TDO અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જે આવેદનપત્ર અનુસાર વર્ષ 2022માં તલાટીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને મોટી હડતાળ પાડી હતી. એ સમયે તલાટી અને મહેસુલી તલાટીની કામગીરી અલગ-અલગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ખાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે, આ વાતને લાંબો સમય વીતી ગયો હોવા છતાં સમિતિના નિર્ણયોનો આજદિન સુધી કોઈ અમલ કરવામાં આવ્યો નથી. તાજેતરમાં જ મહેસુલી તલાટીની નવી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, તેમ છતાં બંને કેડર વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી હજી સુધી જાહેર કરાઈ નથી.

