નવગુજરાત સમય , અમદાવાદ
સાણંદના ગરોડિયા ગામમાં રહેતા ખેડૂતે થોડા વર્ષો પહેલા આર્થિક તંગીના કારણે વ્યાજખોર પાસેથી 4 ટકા વ્યાજે રૂ. 15 લાખ લીધા હતા. જે બાદ 15 લાખની સામે 30 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર પિતા પુત્ર વધુ રૂપિયાની માગણી કરીને ધમકી આપતા હતા. આરોપીઓએ વધુ બે કરોડ રૂપિયા દાદાગીરી કરીને પડાવી લીધા હતા. સમગ્ર મામલે બોપલ પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાણંદના ગરોડિયા ગામમાં રહેતા અરજણજી ઠાકોર ખેતીવાડી કરવાની સાથે રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2014થી વર્ષ 2022 દરમિયાન આર્થિક તંગી હોવાથી તેમણે ગામમા જ રહેતા ટેમુભા વાઘેલા પાસેથી 4 ટકા વ્યાજે 15 લાખ લીધા હતા. થોડા સમય બાદ જમીન વેચાણના આવેલા 10 લાખ અને અન્ય પાંચ લાખ મળીને અરજણજીએ કુલ 15 લાખ ટેમુભાને ચૂકવી દીધા હતા. તેમ છતાંય, ટેમુભા નાણાંની માગણી કરતો હોવાથી તેને વધુ 15 લાખ ચૂકવ્યા હતા.
15 લાખની સામે 30 લાખ ચૂકવ્યા બાદ પણ ટેમુભા અને તેનો પુત્ર કિરપાલસિંહ સતત નાણાંની માંગણી કરીને ધમકી આપતા હતા. થોડા મહિના પહેલા અરજણભાઇની ગરોડિયા ગામની જમીનનો સોદો થતા બાના પેટે બે કરોડ રૂપિયા આવ્યા હતા. તે દિવસે ટેમુભા તેના પુત્રે અરજણભાઇને બોલાવીને બે કરોડની માંગણી કરી હતી. જો કે અરજણભાઇ આટલા બધા નાણાં આપવાની મનાઇ કરતા પિતા પુત્રએ ધમકી આપીને બે કરોડ પડાવી લીધા હતા. અરજણભાઇ બીજા દિવસથી ઘરેથી રીક્ષા લઇને નીકળી ગયા હતા અને 12 દિવસ બાદ પરત ફર્યા હતા. અરજણભાઇએ ગામના સ્થાનિક લોકોની મદદ લઇને પોલીસને આ મામલે જાણ કરતા બોપલ પોલીસે વ્યાજખોર ટેમુભા અને તેના પુત્ર કિરપાલસિંહ વાઘેલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

