એજન્સી, નવી દિલ્હી
મેટાના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપના યુઝરનેમ ફીચર અંગે ચાલી રહેલા વિવાદમાં વચગાળાનો રસ્તો નક્કી થયો છે. દેશમાં નવું ફીચર લોન્ચ કરવા બાબતે સરકાર સાથે ચાલી રહેલી મંત્રણા પૂર્ણ ન થાય ત્યાં સુધી નવા ફીચરને લોન્ચ નહીં કરવાની ખાતરી વોટ્સએપ દ્વારા અપાઈ છે. વોટ્સએપના નવા ફીચરમાં પોતાનો ફોન નંબર છતો કર્યા વગર યુઝરનેમ દ્વારા મેસેજ કરી શકાય છે.
કેન્દ્ર સરકારે ગત સપ્તાહે વોટ્સએપને નોટિસ આપી હતી અને આ પ્રકારના ફીચરથી ઓનલાઈન ફ્રોડ તથા બનાવટી ઓળખ આપી ઠગાઈ થવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, મેટાના પ્રતિનિધિઓ શુક્રવારે કેન્દ્ર સરકારના સૂચના-માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. આ બેઠક દરમિયાન મેટા દ્વારા સરકારને વિશ્વાસમાં લીધા વગર યુઝરનેમ ફીચરને લોન્ચ નહીં કરવાની ખાતરી અપાઈ હતી.

