Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીતે બિહારની રાજનીતિમાં ત્રીજા વિકલ્પની ચર્ચા તેજ કરી

Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીતે બિહારની રાજનીતિમાં ત્રીજા વિકલ્પની ચર્ચા તેજ કરી

Bankipur Bypoll: બાંકીપુર પરિણામથી NDA અને મહાગઠબંધન બંને ચિંતામાં, શું બિહારમાં નવા રાજકીય યુગની શરૂઆત?

Bankipur Bypoll: દેશના અનેક સ્થળોએ યોજાયેલી પેટાચૂંટણીઓમાં બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી અને આ બેઠક પર આવેલું પરિણામ માત્ર પેટાચૂંટણીનું પરિણામ માનવામાં આવી રહ્યું નથી.

આ બેઠક પરથી જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરની જીતે રાજકીય વર્તુળો અને વિશ્લેષકોમાં નવી ચર્ચા જગાવી છે. જન સુરાજ પાર્ટીને બિહાર વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક મળી નહોતી, પરંતુ પેટાચૂંટણીમાં BJPનો ગઢ માનાતી બાંકીપુર બેઠક પર ભારે બહુમતીથી પ્રશાંત કિશોરની જીતને બિહારની રાજનીતિમાં નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે અને તેવો સંકેત પણ માનવામાં આવી રહ્યો છે કે બાંકીપુરથી પીકેની એન્ટ્રી ક્યાંક બિહારની રાજનીતિમાં ત્રીજા વિકલ્પની શરૂઆત તો નથી?

તમિલનાડુના ઢબે ત્રીજા વિકલ્પની શરૂઆત તો નહીં?

પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ બેઠક પરથી પોતે ચૂંટણી લડી નહોતી અને પાર્ટીના સ્ટાર પ્રચારક રહ્યા હતા. આ દરમિયાન તેમણે બિહારના ગામે-ગામ અને નગરે-નગર પ્રવાસ કર્યો હતો. વર્ષો સુધી પડદા પાછળ રહીને અને અગાઉની વિધાનસભા ચૂંટણીમાં જન સુરાજ પાર્ટીના સ્ટાર પ્રચારક રહેલા પ્રશાંત કિશોરે આ વખતે પોતે ચૂંટણી લડી અને બાંકીપુર બેઠક પરથી ભારે મતોથી વિજય મેળવી સંદેશ આપ્યો છે કે તેમની રાજનીતિ હવે માત્ર સલાહકાર તરીકે મર્યાદિત નથી, પરંતુ તેઓ પોતાના બળ પર પણ ભારે જનસમર્થન એકત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રશાંત કિશોરની જીત માત્ર NDA માટે જ નહીં પરંતુ મહાગઠબંધન (RJD) માટે પણ ગંભીર પડકાર છે, કારણ કે આ જીતને ત્રીજા વિકલ્પની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં બિહારના ચૂંટણી સમીકરણો બદલાઈ શકે છે.

નિષ્ણાતોની નજરે આ ચૂંટણી પરિણામને બિહારમાં દ્વિધ્રુવીય રાજનીતિ વચ્ચે ત્રીજા વિકલ્પની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. તાજેતરમાં દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં યોજાયેલી ચૂંટણીમાં અભિનેતા વિજયે જે રીતે DMK અને AIADMK વચ્ચે પોતાનું સ્થાન બનાવ્યું, પોતાને ત્રીજા વિકલ્પ તરીકે સ્થાપિત કર્યા અને સત્તા હાંસલ કરી, તે જ ઢબે બિહારની રાજનીતિને જોવામાં આવી રહી છે. બાંકીપુર પેટાચૂંટણીનું પરિણામ રાજકીય ખાલીપો પ્રશાંત કિશોર દ્વારા ભરવાની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. જે લોકો સત્તાપક્ષ અને વિપક્ષ બંનેથી સંતોષી નથી, એવા મતદારોને પોતાની તરફ આકર્ષવામાં પ્રશાંત કિશોર સફળ થતા દેખાઈ રહ્યા છે. આ બેઠકને લિટમસ ટેસ્ટ તરીકે પણ જોવામાં આવી શકે છે.

જાતિગત સમીકરણ અને Gen Z

બાંકીપુર છેલ્લા ત્રણ દાયકાથી BJP નો સૌથી મજબૂત શહેરી ગઢ માનવામાં આવે છે. અહીં સતત BJP નું પ્રભુત્વ રહ્યું છે અને વર્તમાન BJP અધ્યક્ષ નિતિન નવીન આ બેઠક પરથી અનેક વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. બાંકીપુર સંપૂર્ણપણે શહેરી અને શિક્ષિત મતદારો ધરાવતી બેઠક છે, જ્યાં પરંપરાગત રીતે સવર્ણ જાતિઓનું વર્ચસ્વ રહ્યું છે. કાયસ્થ બહુમતી ધરાવતી બાંકીપુર બેઠકને બિહારમાં કાયસ્થ મતદારોનો સૌથી મજબૂત ગઢ માનવામાં આવે છે. અહીં અંદાજે 70,000 કાયસ્થ મતદારો છે, જે છેલ્લા ત્રણ દાયકાથી BJPની જીતનો સૌથી મોટો આધાર રહ્યા છે. કાયસ્થો ઉપરાંત અહીં ભૂમિહાર, બ્રાહ્મણ અને રાજપૂત મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે. BJPનો આ મુખ્ય સવર્ણ મતબેંક પાર્ટીને હંમેશા એકતરફી સરસાઈ અપાવતો રહ્યો છે.

RJD નો પરંપરાગત મુખ્ય મતબેંક એટલે કે મુસ્લિમ અને યાદવ મતદારોની સંખ્યા અંદાજે 30 હજાર છે. યુવા મતદારો પણ અહીં મોટી તાકાત ધરાવે છે અને આ વિસ્તારમાં 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો તથા Gen Z મતદારોની સંખ્યા અંદાજે એક-તૃતીયાંશ છે, જે જાતિગત બંધનોથી પર જઈને મતદાન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ચૂંટણીની સૌથી મહત્વપૂર્ણ ચર્ચા Gen Z એટલે કે 18થી 30 વર્ષના વયજૂથના મતદારોને લઈને થઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં યુવાનો સાથે જોડાયેલા આંદોલનો, રોજગાર, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વ્યવસ્થા સામેના અસંતોષને કારણે આ વર્ગ વધુ રાજકીય રીતે સક્રિય બન્યો છે અને તાજેતરના આંદોલન બાદ પ્રથમ વખત એવી ચૂંટણી યોજાઈ જેમાં Gen Zએ મતદાન કર્યું.

બાંકીપુર જેવા શહેરી વિસ્તારમાં મોટી સંખ્યામાં શિક્ષિત અને યુવા મતદારો છે. ચૂંટણી પરિણામ પરથી એવું લાગી રહ્યું છે કે પ્રશાંત કિશોરે ડિજિટલ પ્રચાર, સીધો સંવાદ અને પરિવર્તનની રાજનીતિ દ્વારા સૌથી વધુ આ વર્ગને આકર્ષ્યો છે. સમગ્ર જીત માત્ર Gen Zના કારણે મળી હોવાનું કહેવું થોડું વહેલું ગણાશે, પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ વર્ગે ચૂંટણીના નેરેટિવને બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તે વાતને નકારી શકાય નહીં.

NDA અને RJD બંને માટે ચિંતાનું કારણ

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે BJPને રાજ્યમાં લાંબા સમય સુધી નીતિશ કુમારના નેતૃત્વનો લાભ મળ્યો, પરંતુ હવે રાજ્યનું નેતૃત્વ તે વિશ્વાસને સંપૂર્ણ રીતે મતમાં પરિવર્તિત કરતું દેખાતું નથી. પ્રશાંત કિશોર શરૂઆતથી જ બિહારના વર્તમાન CM સમ્રાટ ચૌધરીને નિશાન બનાવી રહ્યા છે. ચૂંટણી જીત્યા પછી પણ તેમણે કહ્યું છે કે બિહારમાં સારી છબી ધરાવતા ચહેરાને CM બનાવવો જોઈએ. BJPના મતદારોએ નીતિશ કુમારના નામે મતદાન કર્યું હતું અને સમ્રાટ ચૌધરી આવ્યા બાદ તેમનો પ્રભાવ આ વખતની પેટાચૂંટણીમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યો નથી. તેનો સીધો અર્થ એ છે કે BJPના મતદારો પણ નારાજ હોઈ શકે છે.

આ જ બેઠક પર BJPની હાર એ સંકેત પણ આપે છે કે તેના પરંપરાગત શહેરી અને સવર્ણ મતબેંકમાં અસંતોષ ઉભો થયો છે. તેજસ્વી યાદવ પણ અપેક્ષા મુજબ લડત આપી રહ્યા નથી, એવું તેમના મતદારોને પણ લાગવા લાગ્યું છે. ખાસ કરીને બાંકીપુર પેટાચૂંટણીમાં તો એવું જ જોવા મળ્યું છે. આ પરિણામ મહાગઠબંધન અથવા RJD માટે પણ ઓછી ચિંતાનો વિષય નથી. તેજસ્વી યાદવ લાંબા સમયથી પોતાને BJPના મુખ્ય વિકલ્પ તરીકે રજૂ કરતા રહ્યા છે, પરંતુ બાંકીપુરમાં તેઓ પોતાને મજબૂત વિકલ્પ તરીકે રજૂ કરી શક્યા નથી. આ ચૂંટણી પરિણામથી એવી ધારણા મજબૂત બની રહી છે કે લોકો નવા વિકલ્પની શોધમાં છે.

શું આ પરિણામ સંજોગવશાત છે કે નવા યુગની શરૂઆત?

આ પેટાચૂંટણીમાં અંદાજે 34.30 ટકા મતદાન થયું હતું. સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે ઓછા મતદાનનો લાભ તે પાર્ટીને મળે છે, જેના પ્રતિબદ્ધ મતદારો દરેક પરિસ્થિતિમાં પોતાની પાર્ટીને મત આપે છે. પરંતુ ચૂંટણી પરિણામ પ્રમાણે જોવામાં આવે તો BJPના પરંપરાગત મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકો સુધી પહોંચ્યા નહોતા અને જે પહોંચ્યા તેઓ પણ સંપૂર્ણ પ્રતિબદ્ધ રહ્યા નહોતા, જેના કારણે મતબેંક પ્રશાંત કિશોર તરફ ખસી ગયો. જોકે બિહાર જેવા મોટા રાજ્યમાં માત્ર એક બેઠકની પેટાચૂંટણીના પરિણામ પરથી ભવિષ્ય માટે કોઈ નિષ્કર્ષ કાઢવો જોખમી હોઈ શકે છે, પરંતુ એટલું નિશ્ચિત છે કે પ્રશાંત કિશોરે NDA અને મહાગઠબંધન વચ્ચે ત્રીજા વિકલ્પ તરીકે મજબૂતીથી પોતાનું સ્થાન બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બાંકીપુર બેઠક માત્ર સંજોગવશાત અપવાદ છે કે બિહારની રાજનીતિમાં ત્રીજા વિકલ્પની વાસ્તવિક શરૂઆત છે, તેનો જવાબ આવનારો સમય આપશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Cafe Gujarati