LPG Crisis। તાજેતરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૯૯૩નો તોતિંગ વધારો ઝીંકાયા બાદ હવે સામાન્ય ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના વધતા ભાવને કારણે તેલ કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે, જેને પગલે ટૂંક સમયમાં ઘરગથ્થુ રસોઈ ગેસ અને પેટ્રોલડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.
તેલ કંપનીઓનું નુકસાન અને મોટું અંતર
રેટિંગ એજન્સી ઇક્રા (ICRA) ના રિપોર્ટ મુજબ, જો કાચું તેલ ૧૨૦-૧૨૫ ડોલર પ્રતિ બેરલની આસપાસ રહે છે, તો તેલ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લિટર ૧૪ અને ડીઝલ પર ૧૮નું નુકસાન (નેગેટિવ માર્જિન) થઈ રહ્યું છે. ઘરગથ્થુ એલપીજી (LPG) પર પણ દબાણ તેજ છે. અંદાજ મુજબ, જો આ સ્થિતિ જળવાઈ રહેશે તો નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં તેલ કંપનીઓની અન્ડર-રિકવરી ૮૦,૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે, જે સરકારના બજેટ જોગવાઈ કરતા ઘણી વધારે છે.
સરકાર સામે ધર્મસંકટ અને બજેટનું ભારણ
સરકાર માટે મુશ્કેલી એ છે કે ૨૦૨૬-૨૭ના બજેટમાં એલપીજી સબસિડી માટે માત્ર ૧૧,૦૮૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જો કંપનીઓનું નુકસાન ૮૦,૦૦૦ કરોડ પર પહોંચશે, તો સરકાર પાસે તેલ કંપનીઓને આર્થિક મદદ (કમ્પેન્સેશન) આપવા માટે પૂરતું ભંડોળ નથી. અગાઉ ઓગસ્ટ ૨૦૨૫માં સરકારે ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને ૩૦,૦૦૦ કરોડની નુકસાન ભરપાઈ મંજૂર કરી હતી, પરંતુ હવે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
અત્યારે દિલ્હીમાં પેટ્રોલ ૯૪.૭૭ અને ડીઝલ ૮૭.૬૭ પ્રતિ લિટર પર સ્થિર છે, પરંતુ ક્રૂડ ઓઈલના ભાવ ૧૧૦ થી ૧૨૬ ડોલર ની વચ્ચે રહેતા ભાવવધારો અનિવાર્ય જણાય છે. સરકાર પાસે હવે ત્રણ રસ્તા છે: ૧. તેલ કંપનીઓને નુકસાન સહન કરવા દેવું (જેથી તેમની બેલેન્સશીટ બગડશે), ૨. બજેટમાંથી ફરીથી વળતર આપવું (જેનાથી તિજોરી પર બોજ વધશે), અથવા ૩. ધીમે ધીમે ભાવ વધારીને બોજ જનતા પર નાખવો. નિષ્ણાતો માને છે કે મોંઘવારી પર કાબૂ મેળવવા અને કંપનીઓને બચાવવા માટે સરકાર ત્રીજો વિકલ્પ પસંદ કરી શકે છે.

