Monsoon Strategy દેશમાં બદલાતા ચોમાસાના મિજાજ અને 'અલ નીનો' ની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી છે. તેમણે તમામ સંબંધિત મંત્રાલયો અને રાજ્ય સરકારોને કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ રહેવા સૂચના આપી છે.
Monsoon Strategy - 10 મંત્રાલયોને સોંપાઈ જવાબદારી
પીએમ મોદીએ આ બાબતે દસ મુખ્ય મંત્રાલયોને જવાબદારી સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અલ નીનોની અસરને કારણે ચોમાસાના પેટર્નમાં મોટો ફેરફાર થઈ શકે છે, જેમાં ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. આથી, વીજળીની વધતી માંગને પહોંચી વળવા માટે કેબલ અને પાવર ગ્રીડના મેન્ટેનન્સ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારો સાથે સતત સંકલન સાધીને જરૂરી પગલાં લેવા માટે તમામ વિભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
Monsoon Strategy - 'અલ નીનો' અને રાજ્ય સરકારો સાથે સંકલન
વડાપ્રધાન મોદીએ કેબિનેટને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે 'અલ નીનો' ની અસરોને ઘટાડવા માટે આયોજનબદ્ધ કામગીરી કરવી જરૂરી છે. તેમણે યુરોપમાં આવેલા આબોહવા પરિવર્તનના ઉદાહરણો આપીને રાજ્યો સાથેના સંકલન (Coordination) પર વિશેષ ભાર મૂક્યો હતો. પીએમએ ભારપૂર્વક કહ્યું કે, માત્ર કેન્દ્ર જ નહીં, પરંતુ તમામ રાજ્યોએ સાથે મળીને કામ કરવું પડશે જેથી કોઈપણ પ્રકારની કુદરતી આફત કે મુશ્કેલીનો સામનો અસરકારક રીતે કરી શકાય.
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, પ્રશાંત મહાસાગરમાં અલ નીનો સક્રિય હોવાથી વરસાદના ચક્ર પર અસર થવાની શક્યતા છે. આ પરિસ્થિતિને જોતા પીએમ મોદીએ દેશભરમાં પાણી બચાવવા (Water Conservation) માટેના અભિયાનને વેગ આપવા સલાહ આપી છે. દુષ્કાળ કે વધુ ગરમી જેવી સ્થિતિમાં જળ સંસાધનોનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, તે અંગે પણ તેમણે માર્ગદર્શન આપ્યું છે. સરકારની પ્રાથમિકતા ખેતી અને ગ્રામીણ જીવન પર ચોમાસાની નકારાત્મક અસર ઘટાડવાની છે.

