Pugewadi Pune 8 Deaths। મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પિંપરીચિંચવડ સ્થિત પુગેવાડી વિસ્તારમાં છેલ્લા ૪૮ કલાકની અંદર અચાનક ૮ લોકોના મોતના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગામના આઝાદ ચોકમાં લાગેલા એક બોર્ડ પર એકસાથે આઠેય મૃતકોના નામ લખેલા જોવા મળ્યા હતા.
શરૂઆતમાં સ્થાનિક લોકોએ આ મોતોને ઝેરી દારૂ (ઝેરીલી શરાબ) અથવા કોઈ રહસ્યમય આકાશી ઘટના સાથે જોડીને જોરદાર અફવાઓ ફેલાવી હતી. જોકે, દાપોડી પોલીસ અને આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં આ તમામ મોતો પાછળના તદ્દન અલગઅલગ કારણો સામે આવ્યા છે.
દાપોડી પોલીસનો મોટો ખુલાસો: તમામ મોત એક સમયે કે એક જ સ્થળે થયા નથી
ઘટનાની ગંભીરતાને જોતાં દાપોડી પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઊંડી તપાસ શરૂ કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આઠેય લોકોના મોત એક જ સમયે કે એક જ જગ્યાએ થયા નથી. દરેક કેસની પરિસ્થિતિઓ સંપૂર્ણપણે અલગ છે અને હાલમાં આ મોતો વચ્ચે કોઈ સીધો કે પરસ્પર સંબંધ હોવાના પુરાવા મળ્યા નથી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM Report) માટે મોકલી આપ્યા છે અને તેના રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું વાસ્તવિક કારણ સત્તાવાર રીતે સ્પષ્ટ થશે તેમ જણાવ્યું છે.
સગા ભાઈઓના મોતે હૃદય હચમચાવ્યું, એકને હાર્ટ એટેક આવ્યો તો બીજાનું સદમાથી મોત
મૃતકોમાં સૌથી વધુ ચર્ચા બે સગા ભાઈઓ વિજય પ્રકાશ રાઠોડ (૩૧) અને રાજેન્દ્ર પ્રકાશ રાઠોડ (૩૪) ના કરૂણ મોતને લઈને થઈ રહી છે. વિજય એક મુવર્સ એન્ડ પેકર્સ કંપનીમાં કામ કરતો હતો, જેને બુધવારે બપોરે વિશ્રાંતવાડી વિસ્તારમાં કામ કરતી વખતે અચાનક હૃદયરોગનો હુમલો (હાર્ટ એટેક) આવ્યો હતો. સારવાર દરમિયાન ખડકી કેન્ટોનમેન્ટ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. સવારે જ્યારે મોટા ભાઈ રાજેન્દ્રને નાના ભાઈ વિજયના મોતના સમાચાર મળ્યા, ત્યારે તેને એટલો ઊંડો આઘાત (સદમો) લાગ્યો કે તેની તબિયત લથડી ગઈ અને ઔંધની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું પણ મોત થઈ ગયું. ડૉક્ટરોના મતે ભાઈના મોતનો આઘાત અને હૃદયની બીમારી રાજેન્દ્રના મોતનું કારણ બન્યા છે.
અન્ય મૃતકોની વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, ૫૭ વર્ષીય પાંડુરંગ સદાશિવ ફુગે લાંબા સમયથી બીમાર હોવાથી તેમનું કુદરતી રીતે (Natural Death) મોત થયું છે. જ્યારે રાજેન્દ્ર રાજપૂત (૫૧) નું મોત બાથરૂમમાં અચાનક બેહોશ થઈને પડી જવાથી થયું હતું, તેમને દારૂની કોઈ લત નહોતી. બીજી તરફ, અકબર પઠાણ (૫૨) છેલ્લા ૧૫ વર્ષથી અતિશય દારૂ પીવાના આદિ હતા, જેથી લિવર ફેલ્યોર અથવા ઓવર-ડ્રિંકિંગના લીધે તેમનું મોત થયું હોવાની આશંકા છે. બાકીના મૃતકોમાં બાબા શેખ, આનંદ દેસાઈ અને આનંદ નિકળજે સામેલ છે. આ ઘટના વચ્ચે સુભાષ દિગીકર અને અક્ષય અવસરમલ નામના અન્ય બે લોકોની હાલત હજુ પણ ગંભીર છે અને તેઓ જુદી-જુદી હોસ્પિટલોમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

