AAP Gujarat : ધોળકા તાલુકાના સરગવાળા ગામે ગેસ પાઇપલાઇનના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ સમર્થન આપ્યું હતું. તેઓ ગામે પહોંચીને આંદોલનકારી ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા સાત દિવસથી તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
તેમનો આક્ષેપ છે કે તેમની સંમતિ લીધા વિના અને કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર તેમની કિંમતી જમીનોમાંથી ગેસ પાઇપલાઇન પસાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ મુદ્દે સરગવાળા સહિત આસપાસના 10 ગામોના ખેડૂતો એકત્રિત થઈ વિરોધ નોંધાવી રહ્યા છે.

ખેડૂતોને ન્યાય મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત
કાર્યક્રમ દરમિયાન બ્રિજરાજ સોલંકી ખેડૂતો સાથે પ્રતીકાત્મક ઉપવાસમાં પણ જોડાયા હતા. આ દરમિયાન ખેડૂતો દ્વારા “ખેડૂતોના ખેતરમાં ગેસ પાઇપલાઇન નાખવાનું બંધ કરો” જેવા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. સોલંકીએ જણાવ્યું હતું કે ખેડૂતોને કોઈપણ પ્રકારના દબાણથી ડરવાની જરૂર નથી અને લોકશાહી માધ્યમથી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી સરગવાળા સહિતના તમામ 10 ગામોના ખેડૂતોને ન્યાય નહીં મળે અને સરકાર ગેસ પાઇપલાઇન અંગે લેખિત ખાતરી નહીં આપે, ત્યાં સુધી આ બિનરાજકીય આંદોલન ચાલુ રહેશે.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સોલંકીએ દાવો કર્યો હતો કે આગામી દિવસોમાં વધુ લોકો આ લડતમાં જોડાશે અને ખેડૂતોની માંગણીઓ સ્વીકારાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવામાં આવશે. ખેડૂતો પણ પોતાના હકોની રક્ષા માટે એકતા સાથે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.






