Narendra Modi: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ ફરી એકવાર ગુજરાતના આંગણે પધારી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી આગામી 8 સપ્ટેમ્બરે ગુજરાતની એકદિવસીય મુલાકાતે આવશે. ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમાંગ જોશી દ્વારા વડોદરા ખાતે પ્રધાનમંત્રીના આ મહત્વપૂર્ણ પ્રવાસ અંગે સત્તાવાર નિવેદન આપતાં ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
PM મોદીના આ પ્રવાસને લઈને રાજ્યના રાજકારણમાં અને ખાસ કરીને સંસ્કારી નગરી વડોદરામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડોદરાને કરોડના વિકાસકામોની મળશે ભેટ
યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમાંગ જોશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે કરોડો રૂપિયાના વિવિધ વિકાસપ્રકલ્પો અને સંચાર સુવિધાઓની ભેટ આપવા આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વડોદરાના વહીવટી અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેનાથી શહેરની આંતરમાળખાકીય સુવિધાઓને વધુ વેગ મળશે.
વડોદરાના લોકો સાથે કરશે સીધો સંવાદ
વિકાસકાર્યોની ભેટ આપવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના નાગરિકો, યુવાનો અને સ્થાનિક અગ્રણીઓ સાથે સીધો સંવાદ પણ કરશે. PM મોદીના સ્વાગત માટે વડોદરા શહેર ભાજપ અને સ્થાનિક તંત્ર દ્વારા અત્યારથી જ ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 8 સપ્ટેમ્બરના રોજ યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રધાનમંત્રીના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવી દેવામાં આવી છે.

