
નરેન્દ્ર મોદી સરકારની બે એવી સ્કીમ છે જેની સાથે જોડાઇને તમે 4 લાખ રૂપિયા સુધીનો વીમો મેળવી શકો છો. રસપ્રદ વાત એ છે કે તમારે વર્ષે ફક્ત 342 રૂપિયા ચુકવવાના છે. હકીકતમાં પોતાના પ્રથમ કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા નામે બે સ્કીમ શરૂ કરી હતી.
વર્ષે 342 રૂપિયાનું પ્રીમિયમ .
આ બંને સ્કીમનું પ્રીમિયમ એકદમ સસ્તુ છે.
જીવન જ્યોતિ વીમા માટે 330 રૂપિયા અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે 12 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું છે. આ પ્રીમિયમની અવેજમાં કુલ 4 લાખ સુધીનું કવર મળશે.
મોદી સરકારની આ યોજનાનો કોણ લઇ શકે છે લાભ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા સ્કીમમાં 18થી 50 વર્ષ સુધીની ઉંમરના લોકો જોડાઇ શકે છે. સાથે જ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અંતર્ગત 70 વર્ષની ઉંમર સુધીના લોકો આવે છે. જણાવી દઇએ કે આ બંને ટર્મ ઇન્શઅયોરન્સ પોલીસી છે. જો કે આ વીમો એક વર્ષ માટે જ હોય છે. દર વર્ષે 31મે સુધી સ્કીમને રિન્યૂ કરાવી પડે છે.
વર્ષમાં વીમો ગમે તે તારીખે ખરીદવામાં આવ્યો હોય તો પણ તે 31મે સુધી જ માન્ય ગણાય છે. જો 31મે બાદ તમે સ્કીમ સાથે જોડાવ છો તો આગામી વર્ષની આ જ તારીખ સુધી સ્કીમ માન્ય છે. સ્કીમ સાથે જોડાવા માટે બેન્ક ખાતુ હોવુ જરૂરી છે. બેન્ક એકાઉન્ટ બંધ થઇ જવા અથવા પ્રીમિયમ કપાવાના ટાઇમ પર ખાતામાં પૂરતુ બેલેન્સ ન હોવાથી વીમો રદ્દ પણ કરવામાં આવી શકે છે.
શું હતો હેતુ
વર્ષ 2015માં કેન્દ્ર સરકારે ગરીબો માટે વીમા કવર આપવા માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા સ્કીમની શરૂઆત કરી હતી. આ જ કારણ છે કે વીમાનું પ્રીમિયમ ખૂબ જ ઓછુ રાખવામાં આવ્યું છે. જો કે હવે આ સ્કીમ દરેક વર્ગ માટે ઉપલબ્ધ છે. દેશની લગભગ તમામ ખાનગી અને સરકારી બેન્ક ગ્રાહકોને સ્કીમ સાથે જોડાવાની તક આપે છે. જો તમે નેટબેન્કિંગ યુઝ કરતાં હોવ તો ઘરે બેઠા આ સ્કીમનો લાભ લઇ શકો છો. સાથે જ બેન્કની નજીકની બ્રાન્ચમાં જઇને પણ સ્કીમનો હિસ્સો બની શકાય છે.