મુંબઈના મઝગાંવમાં ગઈકાલે રાત્રે મોર્યા ગણપતિ આગમન શોભા યાત્રા દરમિયાન ઈંડા ફેંકવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે ઈંડા એક ઈમારતમાંથી ફેંકવામાં આવ્યા હતા. જોકે, પોલીસે હજુ સુધી આ મામલે કોઈ ઔપચારિક નિવેદન બહાર પાડ્યું નથી. આગમન યાત્રા પર ઈંડા ફેંકાયાના સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા.
ઘટના બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ. બંને જૂથો વચ્ચે તણાવ વધતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.
ગણપતિ મંડળના ડેપ્યુટી સેક્રેટરી વિવેક રાણાએ જણાવ્યું હતું કે, "જ્યારે ગણપતિ આગમન યાત્રા ચાલી રહી હતી, ત્યારે મંડપથી લગભગ 30 થી 40 મીટર દૂર એક ઇમારતમાંથી શોભાયાત્રા પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા. આ ઘટના વાંધાજનક છે. અમે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છીએ."
મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારી જયંત મીણા ઘટનાસ્થળે પહોંચ્યા, અને મુંબઈ પોલીસ કમિશનરના આદેશ પર, અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો. આ પછી, બધા શાંત થયા અને પોતાના ઘરે પાછા ફર્યા. પોલીસ હવે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આરોપીઓને ઓળખવા માટે તેઓ નજીકના સીસીટીવી કેમેરા સ્કેન કરી રહ્યા છે.

