Dailyhunt
ઈરાનમાં શિક્ષણ પર આફત: અમેરિકી-ઈઝરાયેલ હુમલામાં 600થી વધુ શાળાઓને નુકસાન

ઈરાનમાં શિક્ષણ પર આફત: અમેરિકી-ઈઝરાયેલ હુમલામાં 600થી વધુ શાળાઓને નુકસાન

તેહરાન, 3 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે ઈરાને એક ચોંકાવનારો દાવો કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓમાં દેશના શિક્ષણ ક્ષેત્રને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં સમગ્ર ઈરાનમાં 600થી વધુ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બોમ્બમારો અને મિસાઈલ હુમલામાં ધ્વસ્ત અથવા ક્ષતિગ્રસ્ત થઈ છે.

ઈરાની અધિકારીઓએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, આ હુમલાઓને કારણે માત્ર ઈમારતો જ નષ્ટ નથી થઈ, પરંતુ દેશની શિક્ષણ વ્યવસ્થા પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. અનેક સ્થળોએ શાળાઓ પર થયેલા હુમલામાં નિર્દોષ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોતના અહેવાલો પણ સામે આવ્યા છે. શાળાઓ બંધ થવાને કારણે લાખો બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી છે, જે ભવિષ્યમાં મોટી શૈક્ષણિક કટોકટી સર્જી શકે છે.

આ વિનાશક સ્થિતિને જોતા ઈરાને આંતરરાષ્ટ્રીય મંચ પર ગુહાર લગાવી છે. ઈરાન સરકાર દ્વારા માંગ કરવામાં આવી છે કે, સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર સંગઠનો આ શૈક્ષણિક સંહારની નોંધ લે. નિર્દોષ બાળકો અને શિક્ષણ સંસ્થાઓને યુદ્ધના લક્ષ્‍ય બનાવતા અટકાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં શૈક્ષણિક સુરક્ષા પૂરી પાડવા માટે વૈશ્વિક દબાણ લાવવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈઝરાયેલ સતત ઈરાનના સૈન્ય મથકો અને વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવી રહ્યા છે. જોકે, ઈરાનનો દાવો છે કે આ હુમલાઓમાં રહેણાંક વિસ્તારો અને શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. બીજી તરફ, અમેરિકા અને ઈઝરાયેલ આ હુમલાઓને ઈરાની જોખમ સામેની જવાબી કાર્યવાહી ગણાવી રહ્યા છે.

યુદ્ધ ગમે તેનું હોય, પરંતુ ભોગ હંમેશા સામાન્ય જનતા અને બાળકો જ બનતા હોય છે. ઈરાનમાં 600થી વધુ શાળાઓનું નષ્ટ થવું એ માત્ર ઈમારતોનું નુકસાન નથી, પરંતુ આવનારી પેઢીના જ્ઞાનના દ્વાર બંધ થવા જેવી ગંભીર ઘટના છે.

આ પણ વાંચોઃ સતત હુમલા છતાં ઈરાન પાસે હજુ જંગી મિસાઈલ અને ડ્રોન સુરક્ષિત, US ગુપ્તચર રિપોર્ટમાં ખુલાસો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Real Voice of India