Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વેનેઝુએલામાં મહાભૂકંપનો ભારે કહેર: મૃત્યુઆંક 3,342 વટાવી ગયો

વેનેઝુએલામાં મહાભૂકંપનો ભારે કહેર: મૃત્યુઆંક 3,342 વટાવી ગયો

કારાકાસ, 6 જુલાઈ 2026: દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં ગત 24 જૂનના રોજ આવેલા બે બેક-ટુ-બેક શક્તિશાળી ભૂકંપના કારણે સર્જાયેલી તારાજી બાદ સ્થિતિ દિનપ્રતિદિન અત્યંત ગંભીર અને ચિંતાજનક બની રહી છે. રિક્ટર સ્કેલ પર 7.2 અને 7.5 ની વિનાશક તીવ્રતા ધરાવતા આ મહાભૂકંપ અંગે નેશનલ એસેમ્બલીના પ્રમુખ જ્યોર્જ રોડ્રિગ્ઝે આપેલા સત્તાવાર અને લેટેસ્ટ અપડેટ મુજબ, આ ભયાનક કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને 3,342 પર પહોંચી ગયો છે, જ્યારે 16,740 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમને દેશની વિવિધ હોસ્પિટલોમાં ઈમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે.

આ કુદરતી આપત્તિના કારણે હજારો ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં કુલ 17,345 લોકોએ પોતાના ઘર ગુમાવ્યા હોવાથી તેઓ સંપૂર્ણપણે વિસ્થાપિત થયા છે. આ બેઘર થયેલા અસરગ્રસ્ત નાગરિકો માટે સત્તાવાળાઓ દ્વારા યુદ્ધના ધોરણે 80 જેટલી કામચલાઉ રાહત શિબિરો અને આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે. મુખ્ય ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 995 જેટલા શક્તિશાળી આફ્ટરશોક્સ નોંધાયા છે, જેના કારણે બચી ગયેલા સ્થાનિક લોકો અને રાહતકર્મીઓમાં પણ સતત ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • બચાવ કામગીરી તેજ બનાવાઈ

હાલમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં 29,567 જેટલા સ્થાનિક બચાવકર્મીઓ કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા માટે દિવસ-રાત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે, જેમાં વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલી 3,281 જેટલી એક્સપર્ટ આંતરરાષ્ટ્રીય બચાવ ટુકડીઓનો પણ સમાવેશ થાય છે. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 6,462 લોકોને કાટમાળ નીચેથી સુરક્ષિત રીતે જીવતા બહાર કાઢવામાં મોટી સફળતા મળી છે. વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે આ મહાભૂકંપમાં જીવ ગુમાવનારા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા દેશમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે અને આ આફતનો સામનો કરી રહેલા નાગરિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સંકટની મુશ્કેલ ઘડીમાં ભારતે ફરી એકવાર ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના સાથે સાચા મિત્ર તરીકે આગળ આવીને વેનેઝુએલાની મદદ માટે ‘ઓપરેશન અમિસ્તદ’ શરૂ કર્યું છે.

આ ઓપરેશન હેઠળ ભારતીય સેનાની સ્પેશિયલ ફિલ્ડ હોસ્પિટલ તૈનાત કરવામાં આવી છે, જ્યાં ભારતીય આર્મીના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ દ્વારા ભૂકંપગ્રસ્ત પીડિતોને તાત્કાલિક જીવનરક્ષક તબીબી સારવાર અને સર્જરી પૂરી પાડવામાં આવી રહી છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા સત્તાવાર વીડિયોમાં વેનેઝુએલાના સ્થાનિક નાગરિકો અને એક પીડિત બાળકની માતા ભારતીય સેનાના ડોક્ટર્સની આ નિઃસ્વાર્થ અને માનવીય સહાય બદલ આંખમાં આસુ સાથે હૃદયપૂર્વક આભાર માનતા નજરે પડે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Real Voice of India