દેશમાં વીમા વગર રોડ પર બિન્દાસ્ત ફરતા વાહનો પર લગામ લગાવવા માટે સુપ્રિમ કોર્ટે પ્રસ્તાવ મૂકયો છે કે, સરકાર એવો પાયલોટ પ્રોજેકટ તૈયાર કરે કે પ્રોજેકટ હેઠળ પેટ્રોલ પંપો પર ઈંધણ આપતા પહેલા વાહનના માન્ય ઈન્સ્યોરન્સની તપાસ થઈ શકે અને વીમો ન હોય તો પેટ્રોલ-ડીઝલ આપવાની ના પાડી શકાય.
દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે વીમા વગરના વાહનો અને વધતા અકસ્માતો મુદ્દે કેન્દ્રને પ્રસ્તાવ આપ્યો છે.
દેશમાં 56% વાહનો વીમા વગરના હોવાનું સામે આવ્યું છે. સુપ્રિમે થર્ડ પાર્ટી વીમાના યોગ્ય અમલ માટે દેશવ્યાપી પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવા જણાવ્યું છે અને પેટ્રોલ પંપ પર વીમાની ચકાસણી કરી, વીમા વગરના વાહનોને ઇંધણ ન આપવા અને ઈ-ચલણથી દંડ કરવા સહિતના વિકલ્પો આપ્યા છે.
વાહનોના થર્ડ પાર્ટી વીમાને લઇને સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ સંજય કારોલ, ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે કેન્દ્ર સરકારને અનેક મહત્વના સૂચનો કર્યા છે. મોટર વહીકલ્સ કાયદાની કલમ ૧૪૬ (થર્ડ પાર્ટી વીમો ફરજિયાત)નો યોગ્ય અમલ ના થવો અને શું તમામ લોકો થર્ડ પાર્ટી વીમો ધરાવે તે માટે એક સમાન પોલિસી લાગુ કરી શકાય કે કેમ આ બે મુદ્દાને ધ્યાનમાં રાખીને સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને યોગ્ય પગલા લેવા આદેશ આપ્યો છે.
સુપ્રિમ કોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારને કહૃાું છે કે તમામ પેટ્રોલ પમ્પો પર વાહનો આવે ત્યારે જ તેના થર્ડ પાર્ટી વીમાની ચકાસણી કરી શકાય તેવી વ્યવસ્થા કરો, જો કોઇ વાહનચાલક પાસે થર્ડ પાર્ટી વીમો ના હોય તો તેને પેટ્રોલ કે ડીઝલ આપવામાં ના આવે. જ્યાં સુધી થર્ડ પાર્ટી વીમો ના ધરાવે ત્યાં સુધી ઇંધણ ન મળે. આ નિર્ણયથી વીમા વગરના વાહનોની ઓળખ થઇ શકશે સાથે જ વાહનચાલક પણ થર્ડ પાર્ટી વીમો લેતો થઇ જશે. આ ચકાસણી એએનપીઆર (ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ કરતા) કેમેરા જેવી કોઇ વ્યવસ્થા દ્વારા પણ કરી શકાય. સુપ્રિમની બેંચે વધુમાં નોંધ્યું હતું કે નેશનલ હાઇવે પર અકસ્માતો વધી રહૃાા છે, ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો અને અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હવે આ પાયલોટ પ્રોજેકટ કયાં અને કયારે લાગુ થયો છે કે થનાર છે, તે અંગે લોકોમાં કુતૂહલ પ્રવર્તે છે.

