◘ પીએમઓને જાણ કરતા ચર્ચા વધી : શું વડાપ્રધાન કાર્યાલયની સૂચનાથી જ ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહી!
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારમાં સિનીયર કક્ષાના ગણાતા પર્યાવરણ-જંગલ વિભાગના કેબીનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવના ત્રણ અંગત સચિવની એક સાથે જ હકાલપટ્ટી થતા જબરી ચર્ચા છેડાઈ છે. મોદી સરકારમાં આ પ્રકારે કેબીનેટ મંત્રીના ખાસ ગણાતા અંગત સચિવોની હકાલપટ્ટી એ પ્રથમ ઘટના છે તથા આ આદેશની નકલ છેક વડાપ્રધાન કાર્યાલયને પણ મોકલવામાં આવતા પીએમઓની સુચનાથી જ આ હકાલપટ્ટી થઈ છે તેવા સંકેત છે.
શ્રી ભુપેન્દ્ર યાદવ ભાજપમાં પણ અત્યંત વરિષ્ઠ કક્ષામાં આવે છે તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખાસ નજીકના છે. હજુ થોડો સમય પુર્વે પીએમઓમાં પણ મીડીયા સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીને રાતોરાત ફરજ મુક્ત કરાયા હતા તેની ચર્ચા લાંબો સમય દિલ્હીના રાજકીય ગલીયારો તથા મીડીયામાં આંતરિક રીતે જોવા મળી હતી.
શ્રી યાદવના કાર્યાલયમાં કામ કરતા અંગત સચિવ તથા બે અતિરીકત અંગત સચીવ (પ્રાઈવેટ સેક્રેટરી ટુ મીનીસ્ટર તથા એડીશનલ પ્રાઈવેટ સેક્રેટરી)ને તા.3ના તાત્કાલીક અસરથી દુર કરાયા હતા.
જેના આદેશમાં મંત્રીના અંગત સચીવ અમરસિંહ જે ઈન્ડીયન રેવન્યુ સર્વિસના અધિકારી છે. તેઓને ફરી આ વિભાગમાં મોકલી અપાયા હતા જેના માટે વહીવટી કારણોસર તેવા શબ્દનો ઉપયોગ થયો હતો. શ્રી અમરસિંહ 2021થી ભુપેન્દ્ર યાદવ જયારે કામદાર-રોજગાર મંત્રાલય સંભાળતા હતા. ભારત તેની સાથે છે તથા નવા મંત્રાલયમાં પણ સાથે લઈ ગયા હતા. જેમાં પાંચ વર્ષ માટે નિયુક્તિ હતી.
આજ રીતે એડીશનલ પ્રાઈવેટ સેક્રેટરી શૈલેશકુમાર સિંઘ જે પર્સનલ અને ટ્રેનીંગ વિભાગના હતા. તેઓને પણ કોઈ જોઈનીંગ કુલીંગ પીરીયડ (બે નિયુક્તિ વચ્ચે જે સમય મળે છે) તે રદ કરી તાત્કાલીક તેમના વિભાગમાં રિપોર્ટ કરવા જણાવાયુ છે. જયારે ત્રીજા એડી. પ્રાઈવેટ સેક્રેટરી આયુષ શરનની કાયમ સેવાનો તાત્કાલીક રીતે અંત લવાયો છે. તેઓને તાત્કાલીક ડયુટી છોડવાની રહેશે અને તેઓ સંભવત મંત્રીએ ખુદે નિયુક્ત કર્યા હશે તેમ માનવામાં આવે છે.
રસપ્રદ બાબત એ છે કે આ આદેશ પી.એમ.ઓ.ને ખાસ મોકલાયા છે. જેની ચર્ચા એ છે કે પીએમઓ તરફથી જ સૂચના આપી હોઈ શકે છે તથા તેનો અમલ થયાની જાણ કરવામાં આવી છે અને આ રીતે હકાલપટ્ટીએ મંત્રાલયમાં પણ અમોનો વિષય બની છે.

