(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.5
ગોંડલનાં ગુંદાળા ફાટકથી સાંઢીયાપુલ તરફ રેલ્વેનાં પાટા નજીક ગત વહેલી સવારે ઇજાગ્રસ્ત હાલતમાં મહીલાનો મૃતદેહ મળી આવતા ઘેરૂ રહસ્ય સર્જાયું છે.જો ટ્રેન હડફેટે મહીલાનું મોત નિપજ્યું હોય તો વહેલી સવારે મહીલા રેલ્વે ટ્રેક પાસે કઇ રીતે પંહોચી કે પછી કોઇ એ ટ્રેન તરફ ધક્કો મારી હત્યા નિપજાવી તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરીછે.
દરમ્યાન પોલીસે મહીલા સાથે રિલેશનશીપમાં રહેતા શકમંદ શખ્સને ઉઠાવી પુછપરછ કરતા બનાવની રાત્રે તે મહીલા સાથે હોવાનું જણાવતાં પોલીસે આ શખ્સ દ્વારા મહીલાને ચાલતી ટ્રેન તરફ ધક્કો મારી મોત નિપજાવ્યાંની શંકા એ વિશેષ પુછપરછ હાથ ધરી છે.
મહીલાને મોઢાનાં જડબાનાં ભાગે તથા હાથપગમાં ઇજા હોય બનાવ શંકાસ્પદ જણાતા તેનાં મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો છે. પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળા ફાટક અને સાંઢીયાપુલ વચ્ચે રેલ્વે ટ્રેકની બાજુમાં સવારે ઇજાગ્રસ્ત હાલતમાં મહીલાનો મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે દોડી ગયેલા બી'ડીવીઝન પોલીસ એએસઆઇ બાવકુભાઇ ખાચરે મૃતદેહને ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
બનાવ રેલ્વે પોલીસની હદમાં બન્યો હોય રેલ્વે પીએસઆઇ કે.યુ.વાળા,હેડ કોન્સ્ટેબલ મધુરાજસિહ વાળા સહિત પોલીસ સ્ટાફ સરકારી હોસ્પિટલ દોડી ગયો હતો.અને તપાસ હાથ ધરી હતી.
મૃતક મહીલા પાસેથી મળી આવેલા પર્સ માં તેના પુત્રનાં મોબાઇલ નંબર હોય તેને જાણ કરતા તે ગોંડલ દોડી આવી મૃતદેહ તેની માતા મંજુલાબેન વિનુભાઈ બારૈયા ઉ.42 હોવાનું જણાવતાં ઓળખ મળી હતી.
મૃતક મંજુલાબેનનાં પતિ હાલ ભાવનગર રહેછે. અને અલંગ નાં ડેલા માં કામ કરેછે.પતિ પત્નિ ઘણાં સમય થી અલગ રહેછે.મંજુલાબેનને સંતાનમાં બે દિકરા અને બે દિકરીઓ છે. જે પૈકી એક જામનગર તથા બીજી દિકરી જામકંડોરણા સાસરે છે.
મોટો દિકરો ભાવેશ હાલ રીબડા રહે છે અને ડ્રાઇવીંગ કામ કરે છે જ્યારે નાનો દિકરો તેની બહેન ભેગો જામકંડોરણા રહે છે. મંજુલાબેન ગોંડલનાં વોરાકોટડા રોડ પર આવેલા વિજયનગરમાં એકલા રહેતા હતાં. હોટેલ તથા કેટરર્સમાં રસોઇ કામ કરી જીવનનિર્વાહ ચલાવતા હતાં.
વહેલી સવારે પાંચ થી છની વચ્ચે બનાવ બન્યો હોવાનાં અનુમાન સાથે પોલીસે રહસ્ય સર્જતી ઘટના અંગે તપાસ નાં ચક્રોગતિમાન કરી મંજુલાબેન સાથે રિલેશનશીપમાં રહેતાં એક શખ્સને ઉઠાવી પુછપરછ હાથ ધરી છે.
મૃત્યુનું ખરૂ કારણ પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે તેવુ તપાસનીસ પોલીસે જણાવ્યું હતું.

