નવી દિલ્હી:
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં એક નવા સૌરવ ગાંગુલી યુગનો પ્રારંભ થયો છે. ભલે તે કદાચ 9-10 માસ ટુંકો સમયગાળો હશે. પરંતુ સૌરવ આગામી સમયમાં ભારતીય ક્રિકેટ પર તેની છાપ પાડવા માંગે છે અને તેના માટે તે સક્ષમ પણ છે. બોર્ડના પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીએ પ્રથમ મહત્વપૂર્ણ નિર્ણયમાં ભારતમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીનો બીજો અને અંતિમ ટેસ્ટમેચ ડે-નાઈટ રમાડવાનો નિર્ણય લીધો છે.
આમ ટીમ ઈન્ડીયા જે લાંબા સમયથી ડે-નાઈટ ટેસ્ટમેચ અંગે અનિશ્ર્ચિત હતી. તેણે સૌરવ યુગની શરૂઆતમાં જ આ નિર્ણય સ્વીકારી લીધો છે અને તા.22 નવે.ના કોલકતાના ઈડન ગાર્ડનમાં ભારતીય ટીમનો અને ભારતમાં પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે અને તે પણ ગુલાબી દડાથી.
આ પ્રકારના ગુલાબી દડાથી પણ ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડીયા પ્રથમ વખત આ પ્રમાણે ગુલાબી દડો અને ડે-નાઈટ ટેસ્ટનો સામનો કરશે. જો કે સામે બાંગ્લાદેશની ટીમ છે જે પણ પોતાનો પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમે છે અને તેણે હવે બે ટેસ્ટ માટે આ પ્રકારના 72 દડા બનાવવા માટે ક્રિકેટ બોર્ડને દડા પુરી પાડતી કંપની એસ.જી.ને ઓર્ડર અપાયો છે અને આ દડો બનાવવામાં ટીમ વર્તમાન તથા પુર્વ ક્રિકેટર્સ તથા નિષ્ણાંતોની સાથે ચર્ચા કરી છે અને ગુલાબી દડો એ હાલમાં વપરાતા લાલ દડા જેવો જ હોય તે નિશ્ચિત કરશે.
ગુલાબી દડાની સૌથી મોટી સમસ્યા તેના રંગ અને આકારની છે. આ દડામાં રીવર્સ સ્વીંગ દડો ફેકશો કે તેના માટે દડાને યોગ્ય બનાવવો તે એક મોટો પડકાર છે. લાલ રંગનો દડો ફિલ્ડર્સ ટ્રાઉઝર્સ સાથે ઘસતા હોય છે. જેથી તેની ચમક બની રહે છે અને તે દડો સ્વીંગ થાય છે. દડાના એક જ ભાગને આ રીતે ચમકાવાય છે. બીજો ભાગ રફ જ રહેલો દેખાય છે. વાસ્તવમાં દડામાં રંગનું ખૂબ જ મહત્વ છે. અગાઉ નારંગી અને ઘાટા પીળા રંગના દડાનો પ્રયોગ થયો પણ તે સ્વીકાર્ય બન્યો નહી અને આ પ્રકારના રંગોને કેમેરો ઝડપી શકતો નથી. સીમ પણ તેટલું જ મહત્વનું છે. એક તબકકે ગુલાબી દડામાં બહારની સીલાઈ લીલા રંગની હતી તે હવે કાળી કરી દેવાઈ છે.
આ દડો બનાવવામાં કોર્ક, રબર અને ઉનનો ઉપયોગ થાય છે. દડાને ગ્રીસમાં પણ ડૂબાડી રખાય છે જેથી તેમાં પાણી જઈ શકે નહી.
ગુલાબી દડો શરૂઆતમાં 10-15 ઓવર વધુ સ્વીંગ થાય છે પણ દડો સોફટ થાય પછી બેટસમેનને વધુ મદદરૂપ થાય છે.
2016માં ક્રિકેટ બોર્ડ દુલીપ ટ્રોફીમાં આ ગુલાબી દડાનો પ્રયોગ કર્યો પણ તેમાં કઈ હકારાત્મક ફીડબેક ન મળ્યા. આ દડો બહુ જલ્દી તેનો રંગ ગુમાવે છે અને પછી તેને પારખવો મુશ્કેલ બને છે. દડો ખાસ કરીને ડે-નાઈટમાં આ મુશ્કેલ પડી શકે છે અને દડો 20 ઓવર બાદ સ્પીન માટે સોફટ થઈ જાય છે પણ તેનાથી પીચમાં ઉછાળ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે.
આ દડાનો આકાર ઝડપથી બગડે છે તેથી જ કયુરેટર હવે ગુલાબી દડો ઉપયોગમાં લેવાય ત્યાં પીચ પર વધુ ઘાસ રાખે છે. 2015માં એડીલેડ ટેસ્ટમાં 11 મી.મી. ઘાસ છોડવામાં આવી હતી. અહી ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ બન્ને ટીમને મદદ મળી હતી. આ ઉપરાંત ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો ટેસ્ટ શિયાળામાં રમાવાનો છે અને ગુલાબી દડાનો પ્રથમ વખત શિયાળામાં ઉપયોગ થશે. પુર્વીય ભારતમાં સૂર્યાસ્ત 4.15 કલાક પછી થઈ જાય છે અને હવામાં ભેજ વધે છે. તેથી કોલકતા ટેસ્ટમાં હવે ગુલાબી દડો કઈ રીતે વર્તન કરશે તે પણ રસપ્રદ પ્રશ્ર્ન છે. અત્યાર સુધીના 11 ડે-નાઈટ ટેસ્ટમાં એક મુદો તારવવામાં આવ્યો છે અને તે છે સૂર્યાસ્ત બાદ આખરી 45 મીનીટમાં બોલર્સનું વર્ચસ્વ જોવા મળ્યું છે. આ મેચ ફલડલાઈટ હેઠળ રમાશે અનેમોસમ ઠંડો હોય છે તેથી પીચ ઝડપી બને છે. આ સ્થિતિમાં દડાને પકડવો પણ મુશ્કેલ છે. ટીમ ઈન્ડીયામાં ચેતેશ્ર્વર પુજારા, મયંક અગ્રવાલ, ઋષભ પંત, કુલદીપ નાયર, મોહમ્મદ શામી અને વૃદ્ધમાન સાહા જ આ ગુલાબી દડા સામે રમી ચૂકયા છે. તેથી ટીમ ઈન્ડીયા માટે ટેસ્ટ પ્રેકટીસ પણ મહત્વની હશે.

