નવી દિલ્હી તા.23
નાના-મોટા ભૂકંપ તો પૃથ્વી પર અવારનવાર થતા રહે છે પરંતુ હિમાલય પર્વતમાળામાં અનેક તબકકાવાર ભૂકંપ મોટા ઝટકા સાથે કયારેય પણ આવી શકે છે અને તેની તીવ્રતા રિકટરના પ્રમાણમાં આઠ કે તેથી વધુ હોઈ શકે છે.
વૈજ્ઞાનિકોનો દાવો છે કે કર્યો છે કે હિમાલયની આસપાસ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આ ભૂકંપથી ભારે તબાહી મચી શકે છે, રાજધાની દિલ્હી પણ તેની ઝપટમાં આવી શકે છે. જો કે આ ભૂકંપ કયારે આવશે તેનું અનુમાન હાલ નથી લગાવાયું. જો કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આગામી 100 વર્ષમાં આ ભૂકંપ આવવાની શકયતા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર પુર્વી ભારતના અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ર્ચિમ પાકિસ્તાન સુધી ફેલાયેલ હિમાલય પર્વત માળા ક્ષેત્ર ભૂકંપનું ગઢ રહી ચૂકયું છે.
સંશોધન અનુસાર હિમાલયમાં આવનાર ભૂકંપ 20મી સદીના અલાસ્કાની ખાડીથી લઈને પુર્વી રશિયાના કમચટકામાં આવેલા ભૂકંપ જેવા ભીષણ હશે. કોલકાતા સ્થિત ભારતીય વિજ્ઞાન શિક્ષણ તેમજ અનુસંધાન સંસ્થાનમાં પૃથ્વી વિજ્ઞાન વિભાગના પ્રોફેસર સુપ્રીયા મિત્રા પણ આ સંશોધનને સાચું માને છે. તેના જણાવ્યા મુજબ અગાઉ થયેલા સંશોધન પણ આજ બાબત તરફ ઈશારો કરે છે પણ આવા ભીષણ ભૂકંપ કયારે આવે તે કહી શકાય નહીં.

