જામનગર તા.4ઃ જામનગરના યાદવનગર વિસ્તારમાં અંદાજે 8 કલાક બંધ રહેતા અનાજ કરિયાણાના વેપારીના રહેણાક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. વેપારીનો પરિવાર વોટરપાર્કમાં ન્હાવા ગયા અને પાછળથી ધોળે દિવસે ત્રાટકેલા તસ્કરો રૂ. 8.60 લાખની મત્તા ચોરી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના યાદવનગર આહીર સમાજની બાજુમાં રહેતા અને અનાજ કરીયાણાની દુકાન ધરાવતા નારણભાઇ હમીરભાઇ કંડોરીયા નામના વેપારીના ઘરમાં ચોરી મામલે સિટી સી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જેમાં જાહેર કરાયેલી વિગત અનુસાર નારણભાઇ પોતાના ઘરને તાળા મારીને પરીવાર સાથે શહેરની નજીક આવેલા એક વોટરપાર્કમાં નહાવા માટે ગયા હતા. આ દરમિયાન તા. 2 મેના રોજ 8 કલાક બંધ રહેલા મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું.
કોઇ અજાણ્યા શખ્સોએ ઘરને નિશાન બનાવી ઘરની બહારની દીવાલ ટપી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં મના દરવાજાનું તાળુ તોડી અને દરવાજાનો લોક તોડી કબાટ સુધી પહોંચ્યા હતા. જ્યાં અંદરની તીજોરીમાં રહેલા રોકડા રૂ.8.30 લાખ અને રૂ.30 હજારની કિંમતની એક સોનાની વીટી સહિત કુલ .8.60 લાખનો મુદામાલ ચોરી કરી લઇ ગયા હતા.
સાંજે અંદાજે 05ઃ00 વાગ્યે પરિવાર ઘરે પરત ફરતા તેમના ઘરનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને ઘરેણાં તથા રોકડ રકમ ગાયબ હોવાથી પોલીસનો સંપર્ક કરતા પોલીસે બનાવ સ્થળે દોડી જઇ આરોપી સામે ગુનો નોંધ્યા બાદ આજુ બાજુના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

