◙ રાચીમાં 6 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં ઉગ્ર વળાંક
રાચીઃ જંતર મંતર પર નીટ પેપર લીક મુદે ચાલેલા આંદોલનમાં સફળતા મળ્યા બાદ હવે ઝારખંડમાં રાજય લોક સેવા આયોગ તથા કર્મચારી ચયન આયોગની પરિક્ષામાં ગરબડ- પેપર લીક સહિતના મુદે છેલ્લા છ દિવસથી ચાલી રહેલુ આંદોલન હવે જંતર મંતર પાર્ટ-2ના દ્રશ્યો સર્જવા જઈ રહ્યું છે.
આજે આ આંદોલનમાં ત્રણ દિવસથી ઉપવાસ પર ઉતરેલા વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહાતાપે લદાખના એકટીવીસ્ટ સોનલ વાંગચૂકના ટેલીફોનિક અપીલની ઉપવાસમાં પાણી પીવાનું સ્વીકારીને એ રીતે ઉપવાસ ચાલુ રાખવા કરેલી જાહેરાત બાદ હવે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક વડા અભિજીત દીપકે અને ભાજપે આંદોલનમાં ઝુકાવ્યુ છે.
એક તરફ ઝારખંડ સરકારે તપાસ ચાલુ છે અને રિપોર્ટ બાદ પગલા લેવાની જાહેરાત કરી મુખ્યમંત્રી હેમંત સોરેન કે કોઈ મંત્રીના રાજીનામા અને સીબીઆઈ તપાસની ભાજપની માંગ ફગાવી છે તો હવે વિપક્ષના નેતૃત્વની આ સરકારને ભીડવવા આજે ભાજપના નેતાઓનું એક ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિમંડળ હવે રાચી જશે અને આંદોલનકારીઓને ટેકો જાહેર કરશે.
રાજય ભાજપના પ્રવકતાએ કહ્યું કે ગેરરીતિની જવાબદારી સ્વીકારીને મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દેવું જોઈએ. બીજી તરફ આજે સંભાજીનગરમાં કોકરોચ જનતા પાર્ટીની બેઠક બાદ આ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે એ પણ રાચી જવાની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું છે કે રાચીમાં પણ અમારા સાથીદારો અને હું રાચી જઈને આંદોલનને ટેકો જાહેર કરીશ.
મુંબઈમાં PM મોદીના પોષ્ટર લાગ્યા
એક તરફ જંતર મંતર આંદોલનથી સરકાર ભીસમાં આવી હતી તેમાં ડેમેજ કંટ્રોલ શરૂ થયુ છે તો આજે મુંબઈમાં જેન-ઝીને ટાર્ગેટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર લાગ્યા છે. જેમાં રાષ્ટ્ર પ્રથમનો સંદેશ અપાયો છે તથા બંધારણીય મુલ્યો, શિક્ષણ તથા સામાજીક જવાબદારીને પ્રોત્સાહનનો વડાપ્રધાનનો સંદેશ મુકાયો છે.
રાજકીય પક્ષ નહી સ્થાપીએ; પ્રેસર ગ્રુપ તરીકે કામ કરશું : દીપકે
સંભાજીનગરઃ જંતર મંતર પર જબરો જુવાળ સર્જવામાં કામીયાબ રહેતા કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક વડા અભિજીત દીપકે એ રાજકારણમાં જોડાયા કે રાજકીય પક્ષ સ્થાપવાનો ઈન્કાર કરતા કહ્યુ કે તે દેશની જરૂરિયાત મુજબ પ્રેસર ગ્રુપની જેમ કામ કરશે.
તેઓએ જણાવ્યું કે મિડીયા અને ન્યાયપાલિકામાં પણ જે રીતે લોકોનો ભરોસો ઘટતો જાય છે તે મુદે પણ ચર્ચા થશે તથા ઈ-20 પેટ્રોલ- બેરોજગારી જેવા મુદાઓ પણ ચર્ચાશે.
પ્રવકતા સૌરવ દાસે દાવો કર્યો કે દેશમાં અનેક રાજકીય પક્ષ છે પણ લોકોના પ્રશ્નો જવાબ એક પણ રાજકીય દળ પાસે નથી. અમો એ દિશામાં કામ કરશું.

