જામનગર તા.7 જામનગર મહાનગરપાલિકામાં ચુંટાઈને આવેલા નવા કોર્પોરેટરોને જુદી-જુદી શાખાઓમાં વર્ષોથી જામી ગયેલા અધિકારીઓ ગેરમાર્ગે દોરીને યેન કેન રીતે પ્રજાના કામો અટકાવી દેતા હોવાના આક્ષેપ સાથે આવા અધિકારીઓની આંતરિક ફેરબદલી કરવા વોર્ડ નંબર-10ના કોર્પોરેટર દ્વારા કમિશનરને લેખિત ફરિયાદ કરી છે.
વોર્ડ-10ના કોર્પોરેટર પ્રકાશભાઈ રાઠોડ દ્વારા મ્યુ.
કમિશનરને ફરિયાદ કરી જણાવ્યું છે. કે, શહેરની વિકાસ-નિભાવની કામગીરી કરતી કોર્પોરેશનની સીવીલ શાખા, વોટર વર્કસ, ગાર્ડન, ભુગર્ભ, ટીપીઓ, ગાર્ડન, સ્લમ, એસ્ટેટ, જન્મ-મરણ, હાઉસ ટેક્સ જેવી શાખાઓમાં અધિકારીઓ અને ઈજનેરોને પ્રજાના પ્રશ્નોની રૂબરુ રજુઆતો કરીએ છીએ. પરંતુ જુના કાટ ખાઈ ગયેલા અને અનુભવી અધિકારીઓ કામ ટાળવા અને નવા ચુંટાયેલા કોર્પોરેટરોને ગેરમાર્ગે દોરે છે. તેથી પ્રજાના કામ અટકી પડે છે. પ્રજાના પ્રતિનિધિ હોવા છતાં એક શાખામાંથી બીજી શાખામાં અધિકારીઓ કારણ વગર ધક્કા ખવડાવે છે.
કોર્પોરેશનમાં એક જ શાખામાં એક જ પોસ્ટ ઉપર એક જ અધિકારી વર્ષોથી નોકરી કરે છે. તેથી અન્ય નવા અધિકાીરઓને અનુભવની તક મળતી નથી. તેથી દરેક શાખા મુજબ ક્યા અધિકારી કેટલા વર્ષથી કઈ જગ્યા ઉપર નોકરી કરે છે. તેની તપાસ કરવા અને તમામ શાખાઓમાંથી અધિકારીઓની અસર-પરસ બદલી કરવામાં આવે તે જરૂરી છે.

