જામ ખંભાળિયા, તા. 03 ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની પ્રથમ સામાન્ય સભા ગુરુવારે સાંજે પાલિકાના સભાગૃહ ખાતે યોજવામાં આવી હતી. જેમાં રજૂ કરવામાં આવેલા જુદા જુદા તમામ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.
ખંભાળિયા નગરપાલિકાની એજન્ડા નં. 1 ની સામાન્ય સભા ગુરુવારે સાંજે 5 વાગ્યે નગરપાલિકાના સભાગૃહ ખાતે પાલિકા પ્રમુખ વિજયભાઈ કણજારીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
આ જનરલ બોર્ડના એજન્ડામાં દર્શાવવામાં આવેલા વિવિધ 67 ઠરાવ શાંતિપૂર્ણ રીતે પસાર થયા હતા. આ જનરલ બોર્ડમાં 36 પૈકી 34 સભ્યો હાજર રહ્યા હતા અને બે સભ્યોનો રજા રિપોર્ટ આવ્યો હતો. આ સામાન્ય સભામાં ચીફ ઓફિસર રાહુલ કરમુર તથા કચેરીના તમામ શાખાના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પાલિકાની કારોબારી સમિતિ જાહેર - ખંભાળિયા નગરપાલિકાની કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન તરીકે રાજ અમૃતલાલ પાબારી તેમજ સભ્ય તરીકે દક્ષાબેન વારીયા, મોહિતભાઈ મોટાણી, જીગ્નેશભાઈ રવજીભાઈ પરમાર, લખમણભાઈ ચાવડા, મનીષભાઈ નકુમ, રેખાબેન ખેતિયા, સીમાબેન ચાવડા, રવિભાઈ પ્રકાશભાઈ ગોકાણી, કવિતાબેન ચાવડા અને મહેશ રાડિયાનો સમાવેશ કરવામાં આવ્યા છે.
નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના -
ખંભાળિયા નગરપાલિકામાં જુદી જુદી વધુ 13 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. જેમાં બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નિરવભાઈ લાલ, વોટર વર્ક્સ સમિતિના ચેરમેન તરીકે રેખાબેન વિંઝુડા, સેનિટેશન સમિતિના પુષ્પાબેન વાઘેલા, રમત રમત સમિતિ માટે દમયંતીબેન ઓડિચ, શિક્ષણ સમિતિમાં કૃપાબેન ગોકાણી, લાઈટ સમિતિમાં રસિકભાઈ નકુમ, ટેક્સ સમિતિમાં આશાભા પરમાર, પસંદગી સમિતિમાં વિજયભાઈ કણજારીયા, વાહન વ્યવહાર સમિતિમાં કિરણબેન ઘઘડા, ન્યાય સમિતિમાં ગોવિંદભાઈ સોલંકી ગાર્ડન સમિતિમાં મધુબેન નકુમ, આરોગ્ય સમિતિમાં મેઘાબેન વ્યાસ અને ભૂગર્ભ ગટર સમિતિમાં મોનાલીબા રવિરાજસિંહ જાડેજાની ચેરમેન તરીકેની નિયુક્તિ કરાઈ છે. (ફોટો: કુંજન રાડિયા)

