રાજકોટ, તા.2 રાજકોટની અદાલતે રૂા. 1,40,000ના ચેક રિટર્ન કેસમાં આરોપી વિકી હસમુખભાઈ વાગડીયાને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. ઉપરાંત, ફરિયાદીને ચેકની રકમનું વળતર 60 દિવસમાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ 1 વર્ષની સાદી કેદ ભોગવવાનો હુકમ પણ કર્યો છે. કેસની વિગતો મુજબ, ફરિયાદી અસ્ફાક યાકુબભાઈ મારફાણીએ મિત્રતાના સંબંધને આધારે તા.
16/02/2026ના રોજ આરોપીને રૂા. 1,40,000 વ્યાજ વગર ઉધાર આપ્યા હતા.
અને તેના બદલામાં પ્રોમિસરી નોટ લેવામાં આવી હતી. બાદમાં રકમ પરત ન કરતાં આરોપીએ રૂા.70,000ના બે ચેક આપ્યા હતા. જોકે બંને ચેક બેંકમાં રજૂ કરતાં પરત ફર્યા હતા. ત્યારબાદ કાયદેસરની ડિમાન્ડ નોટિસ પાઠવી ફરિયાદીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. ટ્રાયલ દરમિયાન ફરિયાદી પક્ષે 17 દસ્તાવેજી પુરાવા રજૂ કરી કેસ સાબિત કર્યો હતો.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને દોષિત ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા તેમજ 60 દિવસમાં વળતર નહીં ચૂકવે તો વધુ 1 વર્ષની સાદી કેદનો હુકમ કર્યો છે. કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા, હર્ષ રોહીતભાઈ ઘીયા, તેમજ રીધ્ધીબેન ખંધેડીયા, મીતલબેન ધોકીયા રોકાયેલ હતા.

