અયોધ્યા અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવાની ચોરીના મામલાએ વિશ્વભરનાં હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ ચકચારી કૌભાંડ બાદ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં પ્રભારી પદેથી રાજીનામું આપનારાં ચંપત રાય સામે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) શું કાર્યવાહી કરશે.
તે અંગે VHPના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે મોટું નિવેદન આપ્યું છે. એક ખાસ ઇન્ટરવ્યુમાં આલોક કુમારે સ્વીકાર્યું છે કે ચંપત રાય 'લાપરવાહીના દોષી' હોઈ શકે છે.
જો કે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પરિષદ તેમનાં વિરૂધ્ધ કોઈ પણ કડક નિર્ણય લેતા પહેલાં પોલીસ અને એસઆઈટીની તપાસનાં અંતિમ અહેવાલની રાહ જોશે.
VHP ચીફે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ દાન ચોરીની ઘટના માટે વિશ્વ હિન્દુ પરિષદ કોઈ પણ રીતે જવાબદાર નથી, કારણ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ જ પરિષદનું કાર્ય પૂર્ણ થઈ ગયું હતું અને મંદિરનું સંચાલન કરવું તેમનું કામ નથી.
આ ચોરી અત્યંત કમનસીબ છે અને તેનું સમર્થન કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ મામલામાં જાણી જોઈને VHP, RSS અને PMO (વડાપ્રધાન કાર્યાલય)ને આવરી લેવામાં આવી રહ્યાં છે.
કેસની કડીઓ વિશે વાત કરતાં આલોક કુમારે ખુલાસો કર્યો હતો કે, હાલમાં ચંપત રાય પર સીધા કોઈ આરોપ નથી, પરંતુ તેમનાં ડ્રાઈવર પર ગંભીર આક્ષેપો છે. પૈસા રાખવામાં આવ્યાં હતાં તે સ્ટ્રોંગ રૂમની ચાવીઓ ડ્રાઈવર પાસે જ રહેતી હતી. આ ડ્રાઈવર હાલ જેલમાં બંધ છે અને તેની પાસેથી ચોરીની રકમ પણ રિકવર કરી લેવામાં આવી છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે લાપરવાહી પણ એક ગુનો છે, તો શું આ કેસમાં કોઈ 'મોટી માછલી' (મોટા માથાં) ને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? ત્યારે તેમણે ખાતરી આપી હતી કે એવું બિલકુલ નહીં થાય અને ગુનેગાર ભલે નાનો હોય કે મોટો, કોઈ બચી શકશે નહીં.

