રાજકોટ, તા.4 ગુજરાતનાં 17 હજાર અને રાજકોટ જિલ્લાનાં 700 જેટલા રેશનિંગ દુકાનદારો ફરી એકવાર કમિશન પ્રશ્ને ફસાયા છે અને મે મહિનો ચાલુ જઇ જવા છતાં ગત માર્ચ અને એપ્રિલનું કમિશન નહીં મળતા વેપારી આલમમાં રોષ જન્મ્યો છે.
દરમ્યાન આ પ્રશ્ને આજરોજ વેપારી સંગઠનના મહામંત્રી હિતુભા જાડેજાની આગેવાનીમાં વેપારીઓએ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવેલ હતું કે, અમે રાજકોટ શહેર વ્યાજબી ભાવના દુકાનદાર એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો છીએ.
સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત જનતાને અનાજ વિતરણ કરવાની જવાબદારી અમે નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છીએ.કેન્દ્ર સરકારના હસ્તક આવતું માર્ચ-2026નું અમારું જે કમિશન બાકી છે.
તે હજુ સુધી મળેલ નથી. કમિશનની રકમ સમયસર ન મળવાને કારણે દુકાનદારોને આર્થિક ભીંસ અને વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આથી, બાકી રહેલ કમિશનની રકમ વહેલી તકે ચૂકવવા વિનંતી છે તેમજ એપ્રિલ માસનું કમિશન પણ સમયસર મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરવા નમ્ર અપીલ છે.
જેથી દુકાનદારોને સતત કામગીરી કરવામાં પ્રોત્સાહન મળી રહે. જયારે આ ઉપરાંત એસોસિએશનના જે અન્ય વિવિધ પડતર પ્રશ્નો છે, તે બાબતે પણ સકારાત્મક વિચારણા કરીને નિવારણ લાવવામાં આવે તેવી અપેક્ષા છે.અમે આશા રાખીએ છીએ કે ઉપરોક્ત રજૂઆતો પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપીને તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરાશેે.

