રાજકોટ, તા.5 રાજકોટના અંબીકા ટાઉનશીપમાં રહેતા પૃથ્વીરાજ વિઠ્ઠલભાઈ લો દ્વારા ઓળખાણના સંબંધે વત્સલગીરી સંજયગીરી ગોસ્વામી (ગોસાઈ)ને બેંક મારફત ઉછીના આપેલા નાણાં પૈકી રૂ.30 લાખ પરત ચૂકવવા માટે ત્રણ ચેક આપવામાં આવ્યા હતા. જોકે, ફરિયાદીએ ત્રણેય ચેક બેંકમાં જમા કરાવતા 'સ્ટોપ પેમેન્ટ'ના શેરા સાથે પરત ફર્યા હતા.
ચેક બિનચૂકતે પરત ફર્યા બાદ ફરિયાદી દ્વારા આરોપીને કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હતી.
તેમ છતાં રકમની ચુકવણી નહીં થતાં ફરિયાદી પૃથ્વીરાજ લો દ્વારા તેમના વકીલ મારફત નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ રાજકોટની કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી રાજકોટની નામદાર મહિલા જજ ડી.ડી. શાહની કોર્ટમાં ચાલી હતી.
બંને પક્ષની દલીલો અને રેકર્ડ પરના પુરાવાઓને ધ્યાને લઈ કોર્ટે આરોપી વત્સલગીરી સંજયગીરી ગોસ્વામી (ગોસાઈ)ને તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. વધુમાં કોર્ટે ચેકની બમણી રકમ એટલે કે રૂ.60 લાખ એક માસમાં ચૂકવવાનો હુકમ કર્યો છે.
જો નિર્ધારિત સમયમર્યાદામાં રકમ ચૂકવવામાં નહીં આવે તો વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. તેમજ દંડ અને વળતર પેટે રૂ.4.99 લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ચુકાદા બાદ આરોપીને ન્યાયિક કસ્ટડીમાં લઈ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ અતુલ સી. ફળદુ, અજય કે. જાઘવ અને ચાર્મી કે. પંડયા રોકાયેલા હતા.

