(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા.5
ભારતના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવના મંદિરને પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ પૂર્વે અમદાવાદથી 500 જેટલા બાપા સિતારામ સેવા ટ્રસ્ટના સેવકો સોમનાથ મંદિર તથા સોમનાથ ટ્રસ્ટના મંદિરો અને સંકુલોની સાફ-સફાઈ સેવા કરી સેવા ભક્તિ કરશે.
સોમનાથ ટ્રસ્ટના સહયોગથી આ સેવાયજ્ઞ અંગે વિગત આપતા અમદાવાદ બાપા સિતારામ સેવા ટ્રસ્ટના અગ્રણી હરિશભાઈ સોનીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્ર સાથે - અમદાવાદથી 500 જેટલા સેવકો તા.
8 ઓગસ્ટ રાત્રિએ નીકળી 9 તારીખે સોમનાથ ખાતે સવારે પહોંચશે.
જે બાદ બજરંગદાસ બાપાની આરતી કરી અલગ અલગ ટીમોમાં સોમનાથ મંદિર, જૂનું સોમનાથ, ભાલકા ત્રિવેણી, રામ મંદિર, ગીતા મંદિર, પ્રાચી મંદિર પરિષર, ગૌશાળા, હરિહરવન, સ્મશાન સહિતના સ્થળોએ સાફ-સફાઈ કરી મંદિરને ચકચકતું સ્વચ્છ બનાવાશે. આ માટે અમો પોતે જ સફાઈના સાધનો સાથે લાવીએ છીએ. 150 સાવરણા, 50 સાવરણી, 80 વાયપર, 80 પોતાં, 500 ફૂટ પાણીના પ્રેસર પંપ, 50 લીટર સફાઈ લીકવીડનો ઉપયોગ કરાશે. છેલ્લા 23 વર્ષથી અમો ગુજરાતના દેવ મંદિરોમાં સેવકો સાથે આવી સેવા ભક્તિ કરીએ છીએ.
સોમનાથાં આ સેવા 15 વર્ષથી કરીએ છીએ. 9 ઓગસ્ટે રાઉન્ડ ધ કલોક આ સેવા ચાલું રહેશે અને 10 ઓગસ્ટ સોમનારના રોજ પૂ. બજરંગદાસ બાપાની ધૂન-ભજન અને વાજતે ગાજતે નગરયાત્રા, ધ્વજાના સામૈયા સાથે સોમનાથ મંદિરે પહોંચી ધ્વજારોહણ કરશે અને મહાદેવને થાળ ધરશે. આવનારા સેવકો સામાન્યથી માંડી અધિકારીઓ, ડોક્ટરો, ઈજનેરો વિગેરે રાજ્યના જુદા જુદા સ્થળોએથી સેવકો ભાગ લેશે. જેમાં 240 જેટલા મહિલા સેવકો પણ ભાગ લેશે.

