(દેવાભાઇ રાઠોડ)પ્રભાસપાટણ, તા.2 સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત સ્વદેશી હાટ બજારના પ્રવેશદ્વાર પાસે ગટરનું દુર્ગંધયુક્ત પાણી છલકાયું છે. સોમનાથ ખાતે આવેલ સ્વદેશી હાટ બજારમાં શોપિંગ માટેની બજાર ઉભી કરાઈ છે જેમાં દેશ-વિદેશથી સોમનાથ આવતા યાત્રિકો અને પ્રવાસીઓ ત્યાં ખરીદી કરવા આવે તેવો આ પ્રોજેક્ટ ના ખુલ્લે મુક્યા માત્ર છ મહિના જ થયા છે અને સંપૂર્ણ નવું બાંધકામ કરાયું હોવા છતાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી હલન ચલન માં નડે છે.
તેમજ એ ભૂગર્ભ ગટરના ઢાંકણા ની બહાર ગંદુ પાણી બધે રેલાય છે જેથી આજુબાજુ નાસ્તો ભોજન કે ખરીદી કરવા આવતા લોકો તે સ્થળોની દુકાનો તરફ પણ બિલકુલ જોતા નથી લોકોમાં સવાલ એ ઉઠયો છે કે જ્યારે આ હાટ બજાર બનાવાઇ ત્યારે ભૂગર્ભ ગટરના નિકાસની ટેકનીકલ પદ્ધતિ પણ જાણે અપનાવાઇ ન હોય તેવું લાગે છે સત્તાવાળાઓનું ધ્યાન દોર્યા બાદ 15 જેટલા ટ્રેક્ટરો આ ગંદુ પાણી ખેંચવા લગાવાયા છે.
પરંતુ કાયમી ઉકેલ કે કાયમી સફાઈ કરાતી ન હોય તેવું ભાસે છે અને સુપરવિઝન તથા દેખરેખ ની જરૂર છે અને તેથી વિશેષ આ પાણી કાયમી ધોરણે કોઈ મોટી ગટર સાથે જોડાણ આપવું જરૂરી છે અન્યથા સમસ્યા ઠેરની ઠેર જ રહેવા સંભવ છે.

